લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Explainer: ટ્રાયલમાં મોડું થાય તો કસાબ જેવા આતંકીને પણ જામીન મળે? જાણો સુપ્રીમ કોર્ટમાં છેડાયેલો વિવાદ | UAPA Bail Row Central Govt Raises Kasab Hafiz Saeed Examples in Supreme Court Over Trial Delays

by

Thenewsdk

Updated: 24-05-2026, 02.52 PM

Follow us:

Explainer: ટ્રાયલમાં મોડું થાય તો કસાબ જેવા આતંકીને પણ જામીન મળે? જાણો સુપ્રીમ કોર્ટમાં છેડાયેલો વિવાદ | UAPA Bail Row Central Govt Raises Kasab Hafiz Saeed Examples in Supreme Court Over Trial Delays



UAPA Bail Row: શું અજમલ કસાબ અને હાફિઝ સઈદ જેવા માનવતાના દુશ્મનોને માત્ર એટલા માટે જામીન આપી શકાય કે તેમના કેસની ટ્રાયલ (અદાલતી કાર્યવાહી)માં મોડું થઈ રહ્યું છે? સાંભળવામાં આ સવાલ કદાચ ચોંકાવનારો લાગે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આ જ તીખો સવાલ ઉઠાવ્યો છે. દેશના સૌથી કડક આતંકવાદ વિરોધી કાયદા UAPA (Unlawful Activities Prevention Act) હેઠળ જામીન આપવાના નિયમો અંગે અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક ખૂબ જ મહત્ત્વની કાયદાકીય જંગ ચાલી રહી છે, જે અંતર્ગત આ મુદ્દો ઉઠાવાયો છે.

કસાબ-સઈદને પણ જામીન મુદ્દે કેન્દ્રની દલીલ  

આ મામલે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચ સમક્ષ દલીલ કરી કે કેસ ચલાવવામાં થતા વિલંબને જામીન મેળવવાનું ‘ગાણિતીક સૂત્ર’ ન બનાવી શકાય. તેમણે કોર્ટને સવાલ કર્યો હતો કે, ‘મુંબઈ હુમલાના આતંકી અજમલ કસાબના કેસમાં અસંખ્ય સાક્ષીઓ હતા, જેના કારણે ટ્રાયલમાં સમય લાગ્યો હતો. તો શું માત્ર સમય લાગવાને કારણે તેને જામીન આપી દેવાય? જો ભવિષ્યમાં હાફિઝ સઈદને પાકિસ્તાનથી ભારત લાવવામાં આવે અને પુરાવા ભેગા કરવામાં 5 વર્ષ વીતી જાય, તો શું તેને પણ મુક્ત કરી દેવાશે?’

સરકારનું સ્પષ્ટ માનવું છે કે જામીન આપતી વખતે ગુનાની ગંભીરતા અને દેશની સુરક્ષા પર તેની શું અસર પડશે તે જોવું અનિવાર્ય છે. 

સુપ્રીમ કોર્ટની બે બેન્ચ વચ્ચે અભિપ્રાયનો વિરોધાભાસ

આ વિવાદ વધુ ઘેરો બનવાનું મુખ્ય કારણ સુપ્રીમ કોર્ટની જ બે અલગ-અલગ બેન્ચ દ્વારા અપાયેલા વિરોધાભાસી નિર્ણયો છે. આ કાનૂની ગૂંચવણને સમજીએ. 

1. સૈયદ ઇફ્તિખાર અંદ્રાબી કેસ (મે, 2026): સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભૂયાનની બેન્ચે મે, 2026માં સૈયદ ઇફ્તિખાર અંદ્રાબીના કેસમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે જો કોઈ કેસની ટ્રાયલ શરૂ થવામાં કે પૂરી થવામાં બહુ લાંબો સમય લાગે અને આરોપીને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડે તો તે જામીન મેળવવા માટે એક મજબૂત અને યોગ્ય આધાર બને છે. જજોએ સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય કાયદામાં ‘જેલ અપવાદ છે અને જામીન નિયમ છે’નો માનવતાવાદી સિદ્ધાંત UAPA જેવા કડક કાયદા હેઠળના કેસોમાં પણ લાગુ થવો જોઈએ.

2. દિલ્હી રમખાણ કેસ / ઉમર ખાલિદ (જાન્યુઆરી, 2026): જાન્યુઆરી, 2026 માં જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે દિલ્હી રમખાણોના કેસમાં ઉમર ખાલિદની જામીન અરજી પર તદ્દન અલગ મંતવ્ય રજૂ કર્યું હતું. આ બેન્ચે ઠરાવ્યું હતું કે માત્ર લાંબો સમય જેલમાં વિતાવ્યો હોવાના કે કેસમાં વિલંબ થવાના આધારે સીધા જામીન આપી શકાય નહીં. કોર્ટે એ વાત પર ભાર મૂક્યો હતો કે જામીન આપતા પહેલાં આરોપી પર લાગેલા ગુનાનું સ્વરૂપ કેટલું ગંભીર છે અને સમગ્ર ગુનામાં તેની વાસ્તવિક ભૂમિકા શું છે, તે ધ્યાનમાં લેવું અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવા માટે હોલ્ડિંગ સેન્ટર બનશે, શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય

હવે ‘મોટી બેન્ચ’ કરશે અંતિમ નિર્ણય

સુપ્રીમ કોર્ટની વિવિધ બેન્ચ વચ્ચેના આ મતભેદને કારણે કાયદાકીય અસ્પષ્ટતા ઊભી થઈ છે. આથી 22 મે, 2026ના રોજ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે આ મામલાને સુપ્રીમ કોર્ટની ‘મોટી બેન્ચ’ (Larger Bench)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. હવે ચીફ જસ્ટિસ સૂર્ય કાંત આ માટે નવી બેન્ચની રચના કરશે જે આખરી નિર્ણય લેશે. આ મુખ્ય કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી કોર્ટે દિલ્હી રમખાણોના અન્ય બે આરોપીઓ (તસ્લીમ અહેમદ અને ખાલિદ સૈફી)ને 6 મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે.

UAPA કેસોની મહત્ત્વની સમયરેખા 

વર્ષ 2021 (કે.એ. નજીબ કેસ): સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે ચુકાદો આપ્યો કે જો ટ્રાયલમાં અતિશય મોડું થાય તો બંધારણની કલમ 21 (જીવવાનો અને આઝાદીનો અધિકાર) હેઠળ UAPAના કેસમાં પણ જામીન આપી શકાય છે.

જાન્યુઆરી, 2026: ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓ ગુનાની ગંભીરતાના આધારે ફગાવી દેવામાં આવી.

મે 2026 (અંદ્રાબી કેસ): બીજી બેન્ચે વિલંબના આધારે જામીન મંજૂર કર્યા, જેથી વિવાદ શરૂ થયો.

22 મે 2026: કાયદાના આ મહત્ત્વના પ્રશ્નને કાયમી ઉકેલ માટે સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સમક્ષ મોકલાયો. 

UAPA કાયદો શું છે?

UAPA (ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ – Unlawful Activities Prevention Act) ભારતનો સૌથી કડક આતંકવાદ વિરોધી કાયદો છે, જે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓને રોકવા માટે બનાવાયો છે.

આ કાયદાની કલમ 43D(5) મુજબ, જો સરકારી તપાસ એજન્સી (જેમ કે NIA કે પોલીસ) ના દસ્તાવેજો જોયા પછી કોર્ટને પ્રથમ દ્રષ્ટિએ (Prima Facie) એવું લાગે કે આરોપી પરના આરોપો સાચા છે, તો તે આરોપીને કોઈ પણ સંજોગોમાં જામીન આપી શકાતા નથી.

આ પણ વાંચો: હાઈવે પર દોડતા ટ્રેલર બન્યા ‘યમરાજ’ : બે રાજ્યમાં ભયાનક અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત

શું આ કાયદા હેઠળ જામીન મળવા સાવ અશક્ય છે?

ના, અશક્ય નથી પણ બહુ મુશ્કેલ છે. જો કોઈ આરોપી કોઈ પણ ગુના સાબિત થયા વિના વર્ષો સુધી જેલમાં બંધ રહે અને ટ્રાયલ પૂરી થવાની કોઈ શક્યતા ન દેખાય, તો સુપ્રીમ કોર્ટ બંધારણની કલમ 21 અંતર્ગત માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને જામીન આપી શકે છે.

સમગ્ર વિવાદમાં કસાબ અને હાફિઝ સઈદના નામ કેમ આવ્યા?

સરકારે આ ખૂંખાર આતંકવાદીઓના ઉદાહરણો દ્વારા કોર્ટને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે જો માત્ર ‘ટ્રાયલમાં વિલંબ’ને જ જામીનનો આધાર માની લેવામાં આવે, તો આવા ખતરનાક આતંકવાદીઓ પણ કાયદાની છટકબારીનો લાભ લઈને જેલની બહાર આવી શકે છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ભારે જોખમી સાબિત થઈ શકે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤