![]()
મુંબઈ : સમાપ્ત થયેલા મેમાં દેશના શેરબજારોમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં વેપાર પ્રવૃત્તિ વધી ૨૨ મહિનાની ટોચે રહી છે જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિતિ લગભગ સમાન રહી છે, એમ પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
મિડકેપ તથા સ્મોલકેપ સ્ટોકસની કામગીરી સારી રહેવાને પરિણામે કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો થયો છે જ્યારે નિયમનકારી અંકૂશોને પગલે ડેરિવેટિવ્સમાં કામકાજ પર અસર પડી હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
એનએસઈ તથા બીએસઈ પર કેશ સેગમેન્ટમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર એપ્રિલની સરખામણીએ મેમાં ૫.૭૦ ટકા વધી રૂપિયા ૧.૫૨ ટ્રિલિયન રહ્યું હતું જે ૨૦૨૪ના જૂન બાદ સૌથી વધુ છે. બીજી બાજુ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂપિયા ૪૮૫.૯૦ ટ્રિલિયન સાથે લગભગ સ્થિર રહ્યું છે.
૧લી એપ્રિલથી સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી)માં વધારો લાગુ થવાને પરિણામે ડેરિવેટિવ્સના ટર્નઓવર હાલમાં સ્થિર જોવા મળી રહ્યું છે.
૧લી એપ્રિલથી ફ્યુચર્સના વેપાર પર એસટીટી ૦.૦૨ ટકા પરથી વધારી ૦.૦૫ ટકા કરાયો છે. જ્યારે ઓપ્શનમાં આ આંક ૦.૧૦ ટકાથી પરથી વધારી ૦.૧૫ ટકા કરાયો છે.
એસટીટીમાં વધારા ઉપરાંત રિઝર્વ ેબેન્ક દ્વારા બ્રોકરો માટે ફન્ડિંગના ધોરણોને સખત બનાવવાની હિલચાલને કારણે પણ વેપાર પ્રવૃત્તિ પર અસર પડી હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી પીછેહઠ કરી રહ્યા છે, તેને કારણે પણ ડેરિવેટિવ્સના કામકાજમાં પ્રમાણમાં નિરસતા જોવા મળી રહી છે.


Leave a Comment