અમદાવાદમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન હવા અને અવાજના પ્રદૂષણ પર અંકુશ રહે તેમજ આગની દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે ફટાકડાના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન પર કડક નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે.
- માત્ર 35 મિનિટ માટે આતશબાજીની છૂટ
નવા વર્ષની ઉજવણી માટે 31 ડિસેમ્બરની મધરાત્રે રાત્રે 11:55 થી 12:30 વાગ્યા સુધી માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. નિર્ધારિત સમય બાદ ફટાકડા ફોડનાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે.
- માત્ર ‘ગ્રીન ફટાકડા’ જ વાપરી શકાશે
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા બેરીયમયુક્ત ફટાકડા અને અવાજવાળી ફટાકડાની લડી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરમાં ફક્ત PESO દ્વારા મંજૂર ગ્રીન ફટાકડા જ વાપરી શકાશે.
- ઓનલાઇન વેચાણ અને ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ
ઈ-કોમર્સ વેબસાઇટ દ્વારા ફટાકડાના ઓનલાઇન વેચાણ પર રોક લગાવવામાં આવી છે. ઉપરાંત વિદેશી અને ખાસ કરીને ચાઈનીઝ ફટાકડા તથા ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- સાયલન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર મનાઈ
હોસ્પિટલ, નર્સિંગ હોમ, શાળા-કોલેજ, અદાલત અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વિસ્તારોમાં ખાસ પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે.
- સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર
પેટ્રોલ પંપ, ગેસ ડેપો અને ગીચ બજારો જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આતશબાજી કરવા પર સખત પ્રતિબંધ છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નિયમોનું પાલન કરી સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી રીતે તહેવારોની ઉજવણી કરે. શહેરભરમાં CCTV દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવશે.


Leave a Comment