Air India Express Pilot Assault Passenger: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર એર ઇન્ડિયા એક્સપ્રેસના એક પાઇલટ સામે મુસાફર પર શારીરિક હુમલાનો ગંભીર આરોપ લાગ્યો છે. અંકિત દીવાન નામના મુસાફરે દાવો કર્યો છે કે પાઇલટ કેપ્ટન વીરેન્દ્રએ તેની સાથે દુર્વ્યવહાર કરી શારીરિક હુમલો કર્યો, જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
પીડિતના જણાવ્યા મુજબ, તે પોતાની પત્ની, 7 વર્ષની પુત્રી અને 4 મહિનાના બાળક સાથે મુસાફરી કરી રહ્યો હતો. સુરક્ષા તપાસ દરમિયાન સ્ટ્રોલરમાં બાળક હોવાને કારણે સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી લાઇનમાંથી પ્રવેશ કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, જ્યારે તેણે લાઇન તોડવાનો વાંધો ઉઠાવ્યો, ત્યારે પાઇલટે ગુસ્સામાં અપમાનજનક શબ્દો કહ્યા અને ત્યારબાદ ઝઘડો થયો.
અંકિત દીવાનનો આરોપ છે કે પાઇલટે તેની 7 વર્ષની પુત્રી સામે જ તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને પાઇલટના શર્ટ પર લાગેલું લોહી પણ તેનું જ હતું. પીડિતનું કહેવું છે કે આ ઘટનાથી તેનું આખું વેકેશન બરબાદ થઈ ગયું છે અને તેની પુત્રી હજુ પણ ભય અને આઘાતમાં છે.
આ મામલે એર ઇન્ડિયા એક્સપ્રેસે સત્તાવાર નિવેદન જારી કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. એરલાઇને જણાવ્યું કે આરોપી પાઇલટ ઘટનાના સમયે બીજી એરલાઇનની ફ્લાઇટમાં મુસાફર તરીકે હાજર હતો. કંપનીએ આ વર્તનની સખત નિંદા કરી છે અને સંબંધિત કર્મચારીને તાત્કાલિક અસરથી તમામ સત્તાવાર ફરજોથી દૂર કરવામાં આવ્યો છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે મામલાની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસના તારણોના આધારે યોગ્ય શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના કર્મચારીઓ પાસેથી ઉચ્ચ સ્તરના આચરણ અને વ્યાવસાયિક વર્તનની અપેક્ષા રાખે છે.


Leave a Comment