ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા GIDCમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. લગભગ 2.30 વાગ્યાની આસપાસ વિશાલ ફાર્મા નામની કંપનીમાં બોઇલર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો, જેના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે અને 24 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
- ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આ ભયાનક બોઇલર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ત્રણ કર્મચારીઓના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી સ્થાનિક હોસ્પિટલોમાં પણ તાત્કાલિક સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
- પ્રચંડ ધડાકાથી આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો
બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી જ મર્યાદિત ન રહેતા, આસપાસની ૪થી ૫ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે, જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે.
- 3 ટન ટોલ્વીનની કામગીરી દરમિયાન બ્લાસ્ટ
ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દિનેશ ગામીતે આ મામલે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કંપનીમાં રાત્રિના સમયે ૩ ટન જેટલા ટોલ્વીનની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન જ આ બ્લાસ્ટ થયો હતો. અધિકારીઓએ રાત્રિના જ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.


Leave a Comment