અભિનેતા અને રાજકારણી હિરન ચેટર્જી પોતાના બીજા લગ્નને લઈને ગંભીર વિવાદમાં ફસાઈ ગયા છે. વારાણસીમાં મોડેલ રિતિકા ગિરિ સાથે ખાનગી રીતે થયેલા લગ્ન બાદ હિરનનું પર્સનલ જીવન ખુલ્લેઆમ ચર્ચામાં આવી ગયું છે. આ લગ્નના સમાચાર હિરનની પહેલી પત્ની અનિંદિતા ચેટર્જી અને પરિવાર માટે આઘાતજનક સાબિત થયા છે.
વેડિંગ સેરેમની બાદ અનિંદિતાએ હિરન સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, કાયદાકીય રીતે છૂટાછેડા લીધા વિના હિરને રિતિકા સાથે લગ્ન કર્યા છે અને તેને લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે રિતિકા ગિરિએ દાવો કર્યો કે અનિંદિતાને હિરન અને તેના સંબંધ વિશે પહેલેથી જાણ હતી. આ દાવાને અનિંદિતાએ સંપૂર્ણપણે નકારતા કહ્યું કે, આ તમામ આરોપ ખોટા છે અને તેણે ક્યારેય તેમના સંબંધને સ્વીકાર્યો નથી.
આ સમગ્ર મામલામાં હિરનની 19 વર્ષની દીકરી નિયાસા ચેટર્જીનું નિવેદન સૌથી વધુ ચર્ચામાં છે. નિયાસાએ જાહેરમાં પોતાની માંનો સમર્થન કરતાં કહ્યું કે, તેના પિતા એક પિતા તરીકે નિષ્ફળ ગયા છે. તેણે ખુલાસો કર્યો કે, પિતાના બીજા લગ્ન વિશે તેને સીધા તેમના તરફથી નહીં, પરંતુ સોશિયલ મીડિયા મારફતે ખબર પડી હતી.
નિયાસાએ ભાવુક નિવેદનમાં કહ્યું કે, કોલેજથી ઘરે આવતી વખતે તેની માંએ તેને મેસેજ કર્યો અને ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાના પિતાના લગ્નના ફોટા જોયા. તેણે જણાવ્યું કે, આ ઘટનાએ તેને માનસિક રીતે તોડી નાખી છે અને તેના પિતા હવે તેના જીવનમાં નજીક રહ્યા નથી.
તે જ દિવસે નિયાસાએ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરીને પોતાની માં પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. કેપ્શનમાં તેણે અનિંદિતાને પોતાનો સૌથી મોટો સહારો અને હીરો ગણાવ્યા હતા.
અનિંદિતા ચેટર્જીનું કહેવું છે કે, તેના લગ્ન હિરન સાથે 11 ડિસેમ્બર, 2000ના રોજ થયા હતા અને તેઓ એક દીકરીના માતા-પિતા છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે લાંબા સમયથી માનસિક ત્રાસ સહન કરી રહી છે, પરંતુ દીકરી અને પરિવારના કારણે ચૂપ રહી હતી.
હાલમાં અનિંદિતા અને નિયાસા બંનેએ હિરન ચેટર્જી અને રિતિકા ગિરિ સામે કેસ દાખલ કર્યો છે. આ મામલે હજુ સુધી હિરન તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ આ વિવાદે તેની વ્યક્તિગત અને જાહેર છબી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કરી દીધો છે.


Leave a Comment