Vrindavan Banke Bihari Temple Accident : ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના ગેટ નંબર 5 નજીક મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંદિરથી આશરે 200 મીટરના અંતરે આવેલી એક ત્રણ માળની ઇમારતનો છજ્જો અચાનક નીચેથી પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓ પર તૂટી પડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં બાંકે બિહારીના દર્શને આવેલા આશરે 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
મળતી માહિતી મુજબ, બાંકે બિહારી મંદિરની બિલકુલ નજીક આવેલા એક ખાનગી મકાનની છત તૂટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના બાદ દર્શનાર્થીઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે સમયે આ ઘટના બની ત્યારે છત પર મોટી સંખ્યામાં વાંદરાઓ બેઠા હતા, જેના કારણે ભારે વજન થતાં આ જર્જરિત છત અચાનક ધડાકાભેર નીચે પડી હતી.
કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?
પ્રાથમિક તપાસ અને સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો અનુસાર, મંદિરની ગલીમાં આવેલું આ ખાનગી મકાન ઘણું જૂનું હતું, અને તેની છત પહેલાથી જ નબળી અને જર્જરિત હાલતમાં હતી. મંગળવારે એકસાથે ઘણા બધા વાંદરાઓ આ છજ્જા પર આવીને બેસી ગયા હતા. વાંદરાઓનો ભાર વધી જતાં અને તેમના કૂદાકૂદને કારણે નબળો પડી ગયેલો છજ્જો મકાનમાંથી ઉખડીને સીધો નીચે રસ્તા પર જઈ રહેલા ભક્તો પર પડ્યો હતો.
અકસ્માતનો ભોગ બનેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, ‘જે સમયે આ દુર્ઘટના થઈ ત્યારે સાંકડી ગલી હોવાના કારણે ઘણા લોકો તે છતની નીચેથી પસાર થઈ રહ્યા હતા, અથવા ત્યાં ઉભા હતા. અચાનક કાટમાળ માથે પડતાં લોકોને ખસવાની તક પણ મળી નહોતી. હાલમાં હોસ્પિટલ પ્રશાસન અને તબીબોની ટીમ ઘાયલ ભક્તોની યોગ્ય સારવાર કરી રહી છે.


Leave a Comment