અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં શુક્રવારની વહેલી સવારે શરૂ થયેલો ઘોઘમાર વરસાદ લોકો માટે આફત સમાન સાબિત થયો છે. દિવસભર ચાલેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થયો છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે.
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જાફરાબાદ શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર મુશ્કેલ બની ગયો છે. વરસાદ સાથે વીજળીના ચમકારા અને પવનના તોફાને લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે.
- વીજ પુરવઠો બંધ થવાથી અનેક વિસ્તારોમાં અંધકાર
સૂત્રો મુજબ, ભારે પવન વચ્ચે વીજળીના તાર પર 66 કિલો વૉલ્ટનો થાંભલો તૂટી પડતા આશરે 30 ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો છે. લોર, ફાચરીયા, ધોળાદ્રિ, મોટા માણસા, ખંભડિયા, પાટવા અને તણાયા સહિતના ગામોમાં છેલ્લા અનેક કલાકોથી અંધકાર છવાયેલો છે.
- ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં
વીજ પુરવઠો બંધ થતા ગ્રામજનોને નુક્શાન થઈ રહ્યું છે. ઘરોમાં પાણી આવતા મશીનો, લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ જેવી મૂળભૂત સુવિધાઓ બંધ થઈ ગઈ છે. ખેડૂતો માટે પણ આ વરસાદ ચિંતા વધારી રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાતા કપાસ, તુવેર અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની આશંકા છે. પશુપાલકોના ચરાગાહોમાં કાદવ ભરાઈ જવાથી પશુઓને ખોરાક અને રહેઠાણની મુશ્કેલી ઊભી થઈ છે.


Leave a Comment