IPL 2025: સુરક્ષા કારણોસર ખેલાડીઓ ધર્મશાળાથી ખાસ ટ્રેન દ્વારા પરત ફરશે, BCCI ની મોટી જાહેરાત

IPL 2025 ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી હતી જે રદ કરવામાં આવી હતી. બીસીસીઆઈ પણ દબાણમાં આવી ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, ધર્મશાલા મેદાનમાં સંપૂર્ણ બ્લેકઆઉટ થયા બાદ મેચ રદ જાહેર કરવામાં આવી હતી અને શક્ય તેટલી ઝડપથી મેદાન ખાલી કરાવવામાં આવ્યું હતું. હવે BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ મોટું નિવેદન આપ્યું છે કે બોર્ડ ખેલાડીઓને ધર્મશાળાથી બહાર લઈ જવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યું છે.
બીસીસીઆઈના ઉપપ્રમુખે કહ્યું છે કે, અમે બધા ખેલાડીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે એક ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યા છીએ, હાલ માટે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ જાહેર કરવામાં આવી છે. આઈપીએલ 2025 ટુર્નામેન્ટના ભવિષ્ય અંગે નિર્ણય આવતીકાલે પરિસ્થિતિના આધારે લેવામાં આવશે. હાલમાં, બધા ખેલાડીઓની સલામતી પહેલી પ્રાથમિકતા છે.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ગયેલી પંજાબની ટીમે મજબૂત શરૂઆત કરી. પ્રભસિમરને પ્રિયાંશ આર્ય સાથે પ્રથમ વિકેટ માટે ૧૨૨ રનની ભાગીદારી કરી. પ્રિયાંશની ઇનિંગનો અંત ટી નટરાજને કર્યો. ૧૧મી ઓવરના પહેલા બોલ પર તે માધવ તિવારીના હાથે કેચ આઉટ થયો. પ્રિયાંશના બેટમાંથી પાંચ ચોગ્ગા અને છ છગ્ગા આવ્યા. પ્રભસિમરને તેની ઇનિંગમાં ચોગ્ગા ફટકાર્યા.