‘હું મારા સાહેબના ત્રાસના કારણે મરી રહ્યો છું’: મણિનગર રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન નીચે કૂદી જીવ ગુમાવ્યો

by

Thenewsdk

Updated: 19-11-2025, 10.50 AM

Follow us:

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને પેટ્રોલપંપ પર નોકરી કરતા યુવક કિરીટ પંચાલે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાસ્થળ પરથી મળેલી સુસાઇડ નોટમાં તેણે નોકરીના સ્થળે બે સાહેબો—રશ્મિત સિંઘ અને હાર્દિક પટેલ—દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ખોખરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

  • સુસાઇડ નોટમાં માનસિક-શારીરિક ત્રાસનો ઉલ્લેખ

પોલીસને મૃતદેહ સાથે મળેલી સુસાઇડ નોટમાં કિરીટ પંચાલે સ્પષ્ટ રીતે લખ્યું છે કે નોકરી સ્થળે સતત ત્રાસ, દબાણ અને મારપીટને કારણે તે આ અંતિમ પગલું ભરવા મજબૂર બન્યો હતો. તેણે બે સાહેબો રશ્મિત સિંઘ અને હાર્દિક પટેલના નામ દર્શાવતાં તેમના કારણે પોતાની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત, પોતાની પત્નીને ન્યાય અપાવવા સુસાઇડ નોટમાં વિનંતી પણ કરી છે. કિરીટે આ પગલું 18મી નવેમ્બરની સાંજે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે ઝંપલાવીને ભર્યું હતું.

  • પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર, ન્યાયની માંગ

ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ન્યાય મળ્યા વગર મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. કિરીટ પંચાલની સાળી જાનકી પંચાલે આક્ષેપ કર્યો કે પેટ્રોલપંપ પર તેને માનસિક તથા શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. “ઓફિસમાં પટ્ટાથી માર મારવામાં આવતો હતો, અને પરિવારને પણ ધમકીઓ આપવામાં આવતી હતી,” તેમ તેમણે જણાવ્યું. પરિવારજનોએ આરોપીઓ સામે કડક પગલાં લેવા અને ન્યાય આપવા માંગણી કરી છે.

  • પોલીસની કાર્યવાહી: સુસાઇડ નોટ FSLમાં મોકલી

ખોખરા પોલીસ સ્ટેશનના PI બી.પી. સાવલિયાએ જણાવ્યું કે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. મળેલી સુસાઇડ નોટને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે જેથી તેની ખરાઈ થઈ શકે.

  • FSL રિપોર્ટ બાદ કાર્યવાહી નક્કી

PI સાવલિયાએ વધુમાં જણાવ્યું કે જો FSL રિપોર્ટમાં નોટ સજ્જડ પુરવાર થશે અને આક્ષેપોને સમર્થન આપતા પુરાવા મળી આવશે, તો આરોપી રશ્મિત સિંઘ અને હાર્દિક પટેલ સામે કાયદેસર ગુનો નોંધવામાં આવશે. ઘટના ગંભીર હોવાથી પરિવારજન અને સ્થાનિકોમાં ન્યાય માટે રોષ અને દબાણ ઉભું થયું છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.