નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રખડતા આખલાઓનો ત્રાસ સતત વધતો જાય છે. નીલકંઠ મહાદેવ મંદિર પાસે માતાજીનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ શરૂ થતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બેફામ થઈ ગયેલા એક આખલાએ મુકેશ પરમાર નામના યુવકને હવામાં 9 ફૂટ ફંગોળી દીધો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો છે. ઉપરાંત અન્ય ત્રણ લોકોને પણ ઈજા પહોંચી છે.
- વાહનવ્યસ્ત વિસ્તારમાં ભયનો માહોલ
સ્થાનિકોએ જણાવ્યું કે વરઘોડો પસાર થતો હતો ત્યારે જ આખલાઓ લડતા જોવા મળ્યા હતા. મહિલાઓ અને બાળકોને જોખમ ન પહોંચે તે માટે મુકેશ પરમારે આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાછળથી એક આખલાએ હુમલો કરતા તે ઉછળીને દૂર ફંગોળાઈ ગયો.
- ઢોર નિયંત્રણ ટીમની બેદરકારીનો આરોપ
આ ઘટના છેલ્લા એક મહિનામાં આખલાઓના યુદ્ધની ચોથી ગંભીર ઘટના છે, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી છે, જેના કારણે રખડતાં પશુઓનો ત્રાસ વધતો જાય છે.
જો મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં નહીં લે તો આગામી દિવસોમાં મોટી જાનહાનિ થવાની ભીતિ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.


Leave a Comment