દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંક (PNB) એ ફરી એકવાર બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચાવ્યો છે. બેંકે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને કુલ ₹2,434 કરોડની લોન છેતરપિંડી અંગે સત્તાવાર રીતે જાણ કરી છે. આ કેસમાં SREI ગ્રુપની બે કંપનીઓ — SREI ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ અને SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે.
PNB દ્વારા સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, SREI ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ સાથે સંબંધિત છેતરપિંડી ₹1,241 કરોડ છે, જ્યારે SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સમાં ₹1,193 કરોડની ગેરરીતિ નોંધાઈ છે. જોકે રાહતની વાત એ છે કે બેંકે બંને કિસ્સાઓમાં 100% જોગવાઈ પહેલેથી જ કરી દીધી છે, જેથી બેંકના નાણાકીય ખાતાઓ પર કોઈ સીધી નકારાત્મક અસર પડશે નહીં.
બંને કંપનીઓને કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) હેઠળ NCLT દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના ઉકેલને મંજૂરી આપવામાં આવી હતી. ઓગસ્ટ 2023માં NARCL યોજના મંજૂર થયા બાદ, કંપનીઓના બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 1989માં સ્થાપિત SREI ગ્રુપ એક સમયના બાંધકામ સાધનોના ફાઇનાન્સ ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી તરીકે ઓળખાતો હતો. પરંતુ નબળા નાણાકીય વ્યવસ્થાપન અને સતત ડિફોલ્ટ્સને કારણે ઓક્ટોબર 2021માં કંપની નાદારીની કાર્યવાહી સુધી પહોંચી હતી.
PNBના તાજેતરના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકની જોગવાઈ ₹643 કરોડ રહી છે અને બેંકનો Provision Coverage Ratio (PCR) વધીને 96.91% થયો છે, જે સંપત્તિ ગુણવત્તા માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
શેરબજારની વાત કરીએ તો, આ માહિતી જાહેર થાય તે પહેલાં PNBનો શેર 0.50% ઘટીને ₹120.35 પર બંધ થયો હતો. તેમ છતાં, વર્ષની શરૂઆતથી શેરમાં આશરે 17%નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને 144% રિટર્ન મળ્યો છે. હાલમાં PNBનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ₹1.39 લાખ કરોડ છે.


Leave a Comment