રાજકોટમાં પોલીસ બેડામાં શોક અને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ પર રહેલા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે ગેટ નંબર-3 પાસે પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી. રાત્રે લગભગ ત્રણ વાગ્યે બનેલી ઘટનામાં તેમને તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
મૂળ કચ્છના મોડા રાપર ગામના વતની ગજુભા રાઠોડ SRP ગ્રુપ 13Cમાં સેવા આપતા હતા અને છેલ્લા ચાર મહિનાથી પોલીસ કમિશનર કચેરીમાં ડ્યુટી પર હતા. બે દીકરીના પિતા અને નિવૃત્તિની નજીક પહોંચેલા રાઠોડના આકસ્મિક મોતથી પરિવાર અને પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે.
આપઘાતનું સચોટ કારણ હજુ સામે આવ્યું નથી. પ્રદ્યુમનનગર પોલીસે પોસ્ટમોર્ટમ બાદ તપાસ શરૂ કરી છે અને સહકર્મીઓ તથા પરિવારજનો પાસેથી જરૂરી માહિતી એકત્ર કરી રહી છે. પોલીસ જવાનોમાં વધતા માનસિક તણાવ અને આપઘાતના કેસો ફરી એકવાર ચિંતા ઉભી કરી રહ્યા છે.


Leave a Comment