
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાને બીસીસીઆઈ દ્વારા વર્ષના બેસ્ટ ક્રિકેટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટના આ બે સ્ટાર્સને 2023-24 સીઝનમાં મુંબઈમાં આયોજિત BCCIના વાર્ષિક ‘નમન એવોર્ડ્સ’માં વર્ષના સૌથી મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા.
આ બંને ઉપરાંત, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ BCCI દ્વારા લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર સુપરસ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખેલાડીઓનું વિશેષ પુરસ્કારોથી સન્માન
દર વર્ષની જેમ, BCCI એ ફરી એકવાર શનિવાર, 1 ફેબ્રુઆરીના રોજ દેશના બેસ્ટ ક્રિકેટરોનું સન્માન કર્યું. મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં આયોજિત આ પુરસ્કારોમાં ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ટોપના ખેલાડીઓનું જ સન્માન કરવામાં આવ્યું ન હતું, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં પોતાની છાપ છોડનારા ખેલાડીઓને પણ વિશેષ પુરસ્કારો આપવામાં આવ્યા.
બુમરાહ બન્યો બેસ્ટ ક્રિકેટર
2007માં, BCCI એ વર્ષના બેસ્ટ પુરુષ ક્રિકેટરને સન્માનિત કરવા માટે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ પોલી ઉમરીગરના નામે આ એવોર્ડની સ્થાપના કરી. પહેલો પોલી ઉમરીગર એવોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને આપવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરી 2025ના રોજ, જસપ્રીત બુમરાહને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. બુમરાહને 2023-24 સીઝનમાં ODI વર્લ્ડકપ, T20 વર્લ્ડકપ અને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બદલ આ એવોર્ડ મળ્યો. બુમરાહે બીજી વખત આ ટ્રોફી જીતી છે. આ પહેલા તેમને 2018-19 સીઝન માટે પણ આ એવોર્ડ મળ્યો હતો.
મંધાનાએ ચોથી વખત જીત્યો આ એવોર્ડ
વર્ષની બેસ્ટ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ ફરી એકવાર ટીમ ઈન્ડિયાની વાઈસ-કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને આપવામાં આવ્યો. મંધાનાએ તેના કરિયરમાં ચોથી વખત આ એવોર્ડ જીત્યો છે. આ પહેલા તેણે 2017-18માં અને પછી 2020-21 અને 2021-22 સીઝનમાં પણ આ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય T20 વર્લ્ડકપ જીતનાર ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને BCCI ના પ્રાયોજક ડ્રીમ11 દ્વારા ‘વ્યક્તિગત રિંગ’ આપવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ હાજર નહોતા.
સચિન અને અશ્વિન માટે પણ સન્માન
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બ્રિસ્બેન ટેસ્ટ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર અનુભવી સ્પિન-ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને પણ ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. દર વર્ષના પુરસ્કારોની જેમ, આ વખતે પણ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને કર્નલ સીકે નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો. બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહે સચિનને આ ખાસ એવોર્ડ આપ્યો.
સરફરાઝ ખાને જીત્યો બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ ક્રિકેટરનો એવોર્ડ
જસપ્રીત બુમરાહ સિવાય સરફરાઝ ખાનને પણ બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેને ટેસ્ટમાં પણ ભારતનું શાનદાર પ્રતિનિધિત્વ કર્યું છે. પોતાની ટૂંકી ટેસ્ટ કારકિર્દીમાં, સરફરાઝે ન્યિઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટમાં ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સદી ફટકારી હતી. આ સ્ટાર ખેલાડીને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ઈંગ્લેન્ડ સામેની પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં, સરફરાઝ ખાને બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. તેને પહેલી ઈનિંગમાં 62 રન અને બીજી ઈનિંગમાં 68 રનની અણનમ ઈનિંગ રમી. તે પહેલી ઈનિંગમાં સદી ફટકારવાનું ચૂકી ગયો. સ્ટાર ખેલાડી રન આઉટ થયો.