Surat Crime News: સુરતના વરાછા વિસ્તારમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. પારિવારિક સંકટથી માનસિક રીતે તૂટી પડેલી ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિની દ્રષ્ટિ મનાણીએ ફૂલપાડા રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવતાં કરુણ મોત નીપજ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, માતાએ અગાઉ પરિવાર છોડી દીધો હતો અને છેલ્લા બે દિવસથી પિતા પણ લાપતા હોવાના આઘાતમાં વિદ્યાર્થિની ગંભીર તણાવમાં હતી. આપઘાત પૂર્વે દ્રષ્ટિએ એક ટૂંકી સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં માત્ર “હું તાપી નદીમાં ઠેકડો મારું છું” એવું લખ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાના દિવસે દ્રષ્ટિ નદી તરફ જઈ રહી હોવાનું જોઈ તેના મોટા ભાઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની નજર સામે જ તે તાપીમાં કૂદી ગઈ. આસપાસના માછીમારોએ યુવતીને બહાર કાઢી 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
મૃતક દ્રષ્ટિ અશ્વિનીકુમાર રોડની સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કાર્યરત હતા અને હાલમાં લાપતા છે. વરાછા પોલીસે ઘટનાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
દ્રષ્ટિના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે કરવામાં આવ્યા હતા, જેમાં માતા-પિતાની ગેરહાજરીએ સૌને વ્યથિત કરી દીધા. સમગ્ર મનાણી પરિવારમાં આ દુઃખદ ઘટનાને કારણે શોકનો માહોલ છે.


Leave a Comment