સાઉથ ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારો અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી કન્નડ અને તમિલ ટીવી અભિનેત્રી નંદિની સી.એમ. એ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના બેંગલુરુમાં તેમના ઘરે બની હતી, જેના કારણે સમગ્ર ટીવી ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, અભિનેત્રી પાસેમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. નોટમાં નંદિનીએ જણાવ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને ડિપ્રેશનનો સામનો કરી રહી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમના માતા-પિતા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા, જ્યારે તે તે માટે માનસિક રીતે તૈયાર નહોતી.
અહેવાલો અનુસાર, નંદિની અનેક વ્યક્તિગત અને ભાવનાત્મક સમસ્યાઓને કારણે તણાવમાં હતી. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આત્મહત્યાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ સુસાઇડ નોટ સહિત તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
નંદિની સી.એમ.ને ‘ગૌરી’ સિરિયલથી ખાસ ઓળખ મળી હતી, જેમાં તેમણે દુર્ગા અને કનકની ડબલ ભૂમિકા ભજવી હતી. આ સિરિયલથી તેમને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. ઉપરાંત, તેમણે ઘણી કન્નડ સિરિયલોમાં પણ કામ કર્યું હતું અને તાજેતરમાં એક તમિલ સિરિયલમાં પણ સક્રિય હતી, જે હજુ પ્રસારિત થઈ રહી છે.
અભિનેત્રીના અચાનક અવસાનથી તેમના સહ-કલાકારો, મિત્રવર્તુળ અને ચાહકો ભારે દુઃખમાં છે. ઘણા કલાકારો તેમના અંતિમ દર્શન માટે બેંગલુરુ જવાના છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો નંદિનીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.


Leave a Comment