વડોદરામાં ડોક્ટરની ગંભીર બેદરકારીનો એક હૃદયદ્રાવક કેસ સામે આવ્યો છે, જેમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થિનીનું મોત થયું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે પેટની સર્જરી દરમિયાન અંદર કોટન રહી જતા ગંભીર ઇન્ફેક્શન ફેલાયું, જેના કારણે અંતે યુવતીનું મૃત્યુ થયું.
શું છે સમગ્ર ઘટના?
મકરપુરા જીઆઈડીસી રોડ સ્થિત મહેશ્વરીનગર સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાની દીકરી સંજના છેલ્લા થોડા સમયથી પેટના દુખાવાથી પીડાતી હતી. દિવાળીના થોડા દિવસો પહેલાં તેને વાઘોડિયા રોડ પર ગુરુકુળ ચાર રસ્તા નજીક આવેલી હર્ષલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરે પેટમાં ગાંઠ હોવાનું કહી સર્જરી કરવાની સલાહ આપી હતી.
સર્જરી દરમિયાન બેદરકારી
ડોક્ટર વિજયસિંહ રાજપૂતે સંજનાનું ઓપરેશન કર્યું હતું. સર્જરી બાદ તેને રજા આપવામાં આવી, પરંતુ થોડા દિવસોમાં જ ફરી અસહ્ય પેટનો દુખાવો શરૂ થયો. નવા વર્ષની શરૂઆતમાં તેની તબિયત વધુ બગડતાં તેને મકરપુરાની બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
CT સ્કેનમાં ચોંકાવનારો ખુલાસો
હોસ્પિટલમાં કરાયેલા સીટી સ્કેનમાં ખુલાસો થયો કે અગાઉ થયેલી સર્જરી દરમિયાન સંજનાના પેટમાં કોટન રહી ગયું હતું, જેના કારણે ગંભીર ઇન્ફેક્શન ફેલાયું હતું. ડોક્ટરોએ તાત્કાલિક ફરી સર્જરી કરવાની જરૂર જણાવી હતી.
સતત સારવાર છતાં મોત
પરિવારજનોએ અગાઉ ઓપરેશન કરનાર ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે બહારગામ હોવાનું જણાવી હાલની હોસ્પિટલમાં જ સારવાર ચાલુ રાખવાની સલાહ આપી હતી. દુર્ભાગ્યવશ, 44 દિવસ સુધી મકરપુરા હોસ્પિટલમાં દાખલ રહી સારવાર લીધા બાદ ગઈકાલે સંજનાનું મોત થયું.
ખર્ચ અને આક્ષેપ
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હર્ષલ હોસ્પિટલના ડોક્ટરે તમામ સારવાર ખર્ચ ચૂકવવાની ખાતરી આપી હતી. કુલ ખર્ચ અંદાજે ₹6 લાખ થયો, પરંતુ માત્ર ₹1.70 લાખ જ ચૂકવવામાં આવ્યા બાદ ડોક્ટરે સંપર્ક તોડી નાંખ્યો હતો.
કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ
પુત્રી ગુમાવનાર પિતાએ જણાવ્યું કે તેમની દીકરીએ લગભગ 90 દિવસ સુધી શારીરિક અને માનસિક પીડા સહન કરી. પરિવારજનોએ ડોક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે પોલીસમાં અરજી આપવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.


Leave a Comment