દેશભરના કરોડો નોકરિયાત વર્ગના લોકો માટે સારા સમાચાર છે. ઇપીએફઓએ પોતાના સભ્યોને સારા સમાચાર આપતા નવા વર્ષમાં EPFO 3.0 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ખુલાસો કર્યો છે કે આ સેવા ક્યારે શરૂ થશે. આ ઉપરાંત એટીએમમાંથી EPFO ના પૈસા ઉપાડવાની સુવિધા માટે પણ એટીએમ કાર્ડ ક્યારે ઉપલબ્ધ થશે અને કેટલી મર્યાદા સુધીમાં પૈસા ઉપાડી શકાય છે.
ક્યારે આવશે ATM કાર્ડની સુવિધા ?
આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર આ વર્ષે મે-જૂન સુધીમાં EPFO સબસ્ક્રાઇબર્સને EPFO મોબાઇલ એપ અને ATM કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલમાં EPFO 2.0 પર કામ ચાલી રહ્યું છે અને સમગ્ર IT સિસ્ટમને સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવી રહી છે, આ કામ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જશે.
મોબાઈલ એપ ક્યારે આવશે?
EPFOની મોબાઈલ એપ લોન્ચ કરવા અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે IT સિસ્ટમ અપગ્રેડેશન બાદ EPFO 3.0 એપ મે-જૂન સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ એપ દ્વારા EPFO સબસ્ક્રાઈબર્સને બેંકિંગ સેવાઓનો લાભ મળશે. ખાસ વાત એ છે કે આનાથી આખી સિસ્ટમ સેન્ટ્રલાઈઝ થઈ જશે અને ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા પણ સરળ થઈ જશે.
કેટલા પૈસા કાઢી શકાશે ?
શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય વચ્ચે EPFO 3.0ની બેંકિંગ સેવાઓ માટે વાતચીત ચાલી રહી છે. જે બાદ લોકોને ડેબિટ કાર્ડ મળશે અને એટીએમમાંથી પૈસા ઉપાડવાની છૂટ મળશે.
કેટલા પૈસા ઉપાડી શકાય તે અંગે વાત કરીએ તો એવું નથી કે લોકો એટીએમ કાર્ડમાંથી સંપૂર્ણ યોગદાન ઉપાડી શકશે પરંતુ તેના માટે એક મર્યાદા નક્કી કરવામાં આવશે. ફરક એટલો જ હશે કે પૈસા ઉપાડવા માટે તમારે EPFOની પરવાનગીની જરૂર નહીં પડે. સરકારના આ પગલાથી EPFO સબસ્ક્રાઇબર્સને ઘણો ફાયદો થશે. કારણ કે હવે તેમને પૈસા ઉપાડવા માટે ઓનલાઈન ફોર્મની ચિંતા નહીં કરવી પડે.
Source link