પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં વિવિધ રેલવે સ્ટેશનો પર આવેલા 200 જેટલા ફૂડ સ્ટોલ પર રેલવેના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ખાદ્યખોરાકીના 30 શંકાસ્પદ સેમ્પલો લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા. ગંદકી મામલે સ્ટોલધારકોને દસ હજાર રૂપિયાનો દંડ પણ કરાયો હતો.
દિવાળીના તહેવારો સામે છે, ટ્રેનોમાં મુસાફરોનો ધસારો વધશે, ત્યારે સ્ટેશન પરના ફૂડ સ્ટોલમાં તાજી, આરોગ્યપ્રદ અને વ્યાજબીભાવે ખાદ્યચીજવસ્તુઓ મુસાફરોને મળી રહે તે જરૂરી છે. હાલ ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયામાં કામગીરી બતાવવા ચેકિંગ હાથ ધરાયું છે. આવું ચેકિંગ નિયમિત ધોરણે ચલાવવામાં આવે તેવી પણ માગણી મુસાફરો કરી રહ્યા છે. સાબરમતી તેમજ મણિનગર સ્ટેશને ખુલ્લા રસ્તા હોવાથી ગેરકાયદે ફેરિયાઓ મોટાપાયે ટ્રેનોમાં ખાદ્યચીજવસ્તુઓ વેચતા હોય છે. ચાલુ ટ્રેનમાં ચઢી જવું, ઉતરી જવું અને ચીજવસ્તુઓ ગમે તેમ કરીને વેચીને જતા રહેવામાં કુશળ હોય છે. તેઓ જે ચીજવસ્તુઓ વેચે છે. તેની ગુણવત્તાની ચકાસણી કરનાર કોઇ નથી. ગેરકાયદે ટ્રેનોમાં થઇ રહેલા આ પ્રમાણેના વેચાણ મામલે મુસાફરોના આરોગ્યના ભોગે રેલવે, આરપીએફ, જીઆરપી દ્વારા સદંતર આંખ આડા કાન કરાઇ રહ્યા છે. રેલવે અધિકારીઓએ સ્ટેશન પરના ફૂડ સ્ટોલ ધારકોને સ્વચ્છતા બાબતે દંડયા, સેમ્પલ લીધા, હાથમાં ગ્લબ્સ, મોઢા પર માસ્ક અને માથામાં વાળ ન દેખાય તેવી ટોપી પહેરવાની, સ્વચ્છતા જાળવવાની તાકિદ કરી સંતોષ માન્યો છે. જ્યારે ટ્રેનોમાં ગેરકાયદે ફેરિયાઓ સામે કોઇ પગલા ન લેવાતા મુસાફરોના આરોગ્ય જાળવવાનો હેતું જ રહેતો નથી. ટ્રેનોમાં ચાલતી પેન્ટ્રીના ખોરાક બાબતે પણ અવારનવાર મુસાફરો તરફથી ફરિયાદો આવતી હોય છે તો તે બાબતે પણ પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી માગણી છે.
Source link