રાજ્યમાં હવે વરસાદે વિરામ લીધો છે તો બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માજા મુકી છે અને ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
બેક્ટેરિયલ તપાસ માટે 4,301 પાણીના નમૂના લીધા
ત્યારે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો વર્ક્યો છે અને ચાલુ માસમાં જ ડેન્ગ્યુના અધધ 394 કેસ નોંધાયા છે. મેલેરિયાના 79 કેસ અને ટાઈફોઈડના 404 કેસ શહેરમાં નોંધાયેલા છે. બીજી તરફ કમળાના 342 કેસ, ઝાડા ઉલટીના 351 કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને બેક્ટેરિયલ તપાસ માટે 4,301 પાણીના નમૂના લીધા છે અને લીધેલા નમુનામાંથી 87 નમૂના ફાઈલ થયા છે.
મચ્છરના બ્રીડિંગ મળતા 28,924 એકમોને નોટિસ ફટકારવામાં આવી
તંત્ર દ્વારા શહેરમાં ચાલુ માસમાં મચ્છરના બ્રીડિંગ મળતા 28,924 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. મચ્છરના બ્રીડિંગ મળતા 1.52 કરોડ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
રાજ્યમાં 10 દિવસમાં ડેન્ગયુના 2650થી વધુ કેસ
જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ રોગચાળો વર્ક્યો છે. છેલ્લા 10 દિવસમાં જ ડેન્ગયુના 2,650થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે તો મેલેરિયાના 2,150 કેસ, ચિકનગુનિયાના 286 કેસ રાજ્યમાં નોંધાયા છે. ત્યારે 10 દિવસમાં ડેન્ગ્યુથી 2 દર્દીઓના મોત પણ થયા હોવાની જાણકારી મળી છે. હાલમાં મેલેરિયા માટે રાજ્યના 22 જિલ્લા જોખમી છે. સતત વધી રહેલા કેસોથી લોકોમાં હાલમાં ચિંતાનો માહોલ છવાયો છે અને હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ગુજરાતમાં ડેન્ગ્યુની સાથે મેલેરિયાના કેસોમાં પણ સતત વધારો
ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે અને રાજ્યમાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યામાંથી મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. હાલ ગુજરાતમાં ડેન્ગ્યુની સાથે મેલેરિયાના કેસો પણ સતત વધી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની લાઈન વધુ જોવા મળી રહી છે અને સમય પ્રમાણે દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી કરવી જરૂરી બની ગઈ છે. જો સરખી કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ રોગચાળો વધુ વકરે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
Source link