હિમાચલ પ્રદેશમાં મંડીની જેલ રોડ પર મસ્જિદને લઇને હોબાળો થયો છે. જે વચ્ચે કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. નગર નિગમ આયુક્ત એચએસ રાણાની કોર્ટે શુક્રવારે આ નિર્ણય સંભળાવ્યો છે. હિમાચલના મંડીમાં ગેરકાયદેસર મસ્જિદના બે માળ 30 દિવસમાં હટાવવા પડશે.
ગેરકાયદે બાંધકામ તોડી પાડીશું
સાથે જ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષે આ મામલે 30 દિવસમાં અપીલ કરી શકશે. જો કે મુસ્લિમ પક્ષે કહ્યું કે તેઓ પોતે ગેરકાયદેસર ભાગ તોડી રહ્યા છે જેથી વિસ્તારમાં પરસ્પર ભાઈચારો જળવાઈ રહે. તેમના પર કોઈનું દબાણ નથી. ઉલ્લેખનીય છે કે શિમલાના સંજૌલીમાં મસ્જિદ વિવાદ બાદ મંડીના જેલ રોડમાં એક મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને અચાનક તણાવ વધી ગયો. શુક્રવારે હિન્દુ સંગઠનોએ મસ્જિદ મુદ્દે મંડીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં હજારો લોકોએ ભેગા થયા હતા. તમામની એક જ માગ હતી કે મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે.
કલમ 163 લાગુ કરવામાં આવી
ગેરકાયદે મસ્જિદ વિરોધને જોતા મંડી પ્રશાસને BNSSની કલમ 163 (અગાઉની 144) લાગુ કરી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મંડી શહેરની ચારેય તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. મસ્જિદ પાસે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
શિમલામાં પણ કરાયુ હતું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકોએ શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જિદ સંકુલમાં ગેરકાયદે બાંધકામનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પ્રદર્શનકારીઓએ મસ્જિદ તરફ કૂચ કરી હતી. આ દરમિયાન પોલીસે બેરિકેડ લગાવીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ તોડીને આગળ વધવા લાગ્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો.