બીજેપી સાંસદ અને અભિનેત્રી પોતાના નિવેદનોને લઇને અવાર નવાર ચર્ચામાં આવે છે. તે બોલ્ડ અભિનેત્રીની ઇમેજ તો ધરાવે જ છે પરંતુ રાજકારણમાં આવીને પણ તે બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અગાઉ 3 કૃષિ કાયદાને લઇને તેણે આપેલા નિવેદનથી બીજેપી પાર્ટી પણ નારાજ થઇ હતી. ત્યારે આજે ગાંધી જયંતિના અવસરે તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી જેને લઇને ફરી વિવાદ શરૂ થયો છે.
ગાંધી જયંતિ પર કંગનાએ કરી પોસ્ટ
બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે ગાંધી જયંતિના અવસર પર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે દેશના પિતા નહી દેશના તો લાલ હોય છે. ધન્ય છે આ ભારત માતાના આ લાલને. આ સાથે કંગનાએ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર પણ પોસ્ટ કરી છે. “જય જવાન, જય કિસાન,ના ઘોષક પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર લાખો-હજારો શ્રદ્ધાંજલિ.” આ પોસ્ટની આગળની સ્લાઈડ પર, કંગનાએ એક વીડિયો સંદેશમાં લખ્યું છે, “સ્વચ્છતા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી સ્વતંત્રતા છે, આપણા વડાપ્રધાન મહાત્મા ગાંધીના આ વિઝનને તેમની જન્મજયંતિ પર આગળ લઈ રહ્યા છે.”
કોંગ્રેસ નેતાએ આપી તીખી પ્રતિક્રિયા
કંગનાની આ પોસ્ટ પર કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા રાજ કુમાર વર્માએ કહ્યું છે કે કંગના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ. તેમણે કહ્યું છે કે કંગના રનૌત વારંવાર રાષ્ટ્ર વિરોધી વાતો કહી રહી છે. તેની સામે દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ.. એક તરફ પીએમ ગાંધીજીને ફૂલ અર્પણ કરી રહ્યા છે અને બીજી તરફ બીજેપી સાંસદો ગાંધીજી વિરુદ્ધ આવી વાતો કરી રહ્યા છે, કંગના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે દેશ આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પણ છે. આ અવસર પર પીએમ મોદી સહિત અનેક નેતાઓએ બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.
બીજેપી નેતાએ પણ આપી પ્રતિક્રિયા
પંજાબ ભાજપના નેતા હરજીત ગ્રેવાલે પણ કંગનાની પોસ્ટને ખોટી ગણાવી. તેઓએ કહ્યું કે કંગના રનૌત દ્વારા ગાંધી વિશે આપવામાં આવેલ નિવેદન શરમજનક છે. તે ગાંધીજીને પસંદ કરતી નથી પણ લાલ બહાદુર શાસ્ત્રીને પસંદ કરે છે. તે ગાંધીજીનું અપમાન કેવી રીતે કરી શકે? ગાંધીજી વિના ભારતને આઝાદી કેવી રીતે મળી હોત? કંગનાને કંઈ ખબર નથી. કંગનાના મંતવ્યો ગોડસેના મંતવ્યો છે. મંડીના લોકોએ તેમને સાંસદ બનાવવામાં ભૂલ કરી હતી.
Source link