ગુજરાતમાં ઓગસ્ટના એક મહિનામાં સ્વાઈન ફલૂના 203 કેસ નોંધાયા છે, જે પૈકી પાંચ દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ ગુજરાતમાં જાન્યુઆરીથી ઓગસ્ટ 2024 એમ 8 મહિનામાં સ્વાઈન ફલૂના કુલ 1296 કેસ સામે આવ્યા છે, જે પૈકી 33 દર્દીઓનાં મોત થયા છે. ગુજરાતમાં આ વર્ષે સ્વાઈન ફલૂના કેસમાં ઉછાળો નોંધાયો છે.
ગત વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 212 કેસ આવ્યા હતા અને ત્રણ દર્દીનાં મોત થયાં હતા. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના આંકડા પ્રમાણે સ્વાઈન ફલૂના કેસ મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે અને મોત મામલે ચોથા ક્રમે છે. વર્ષ 2024ના આઠ માસમાં સ્વાઈન ફલૂના સૌથી વધુ કેસ કેરાલામાં 2929, દિલ્હીમાં 2186, કર્ણાટકમાં 1747, મહારાષ્ટ્રમાં 1475 કેસ છે, આ ચાર રાજ્યો પછી ગુજરાતમાં સૌથી વધુ 1,296 કેસ નોંધાયા છે. એ જ રીતે સૌથી વધુ મોત કેરાલામાં 52, એ પછી પંજાબમાં 41, મહારાષ્ટ્રમાં 36 અને ચોથા ક્રમે ગુજરાતમાં 33 દર્દીનાં મોત થયાં છે. સમગ્ર દેશમાં 8 માસમાં કુલ 14,447 કેસ નોંધાયા છે, જે પૈકી 239 દર્દીનાં મોત થયા છે. અત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં સ્વાઈન ફલૂના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે, એક બે વર્ષ પહેલાં સ્વાઈન ફલૂમાં જે કેસ આવ્યા હતા તેમાં મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટર સહારે સારવાર આપવી પડી હતી. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ગુજરાત સરકારને એચ1એન1 એટલે કે સ્વાઈન ફલૂ મામલે સાવચેતી રાખવા તાકીદ કરી હતી.
Source link