અમદાવાદના નવા વાડજમાં આવેલી રામ કોલોનીમાં ગઈકાલે માથાભારે શખ્સોએ રીતસરનો આતંક મચાવ્યો હતો. એક મહિના પહેલા થયેલી જૂની અદાવતને ધ્યાનમાં રાખીને હથિયારો સાથેના ટોળાએ સોસાયટીમાં આવીને વાહનોમાં તોડફોડ કરી હતી. તોફાનીઓએ સોસાયટીને બાનમાં લેતાં રહીશો ઘરમાં ફફડ્યા હતા.
આતંક મચાવનારા અસામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યા
વાડજ વિસ્તારમાં આવેલી રામ કોલોનીમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વો દ્વારા ગાડીઓના કાચ તોડીને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. તેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ વાડજ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને આ અસામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.
વાડજ પોલીસ સ્ટેશનમાં 3 અને નરોડા પોલીસ સ્ટેશનમાં ગાળાગાળી અને માથાકૂટનો 1 ગુન્હો નોંધાયો
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ કે આ ટોળું ભરવાડ વાસમાંથી આવ્યું હતું. ભરવાડ વાસ અને રામ કોલોનીના લોકો વચ્ચે એક મહિના પહેલા બાઈકની અદાવતને લઈને ઘર્ષણ ચાલતું હતું. તે અંગે 20 સપ્ટેમ્બરના રોજ FIR દાખલ કરી હતી. આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. જેને લઈને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપી રણજિત કાળુભાઈ પર વાડજ પોલીસ સ્ટેશનમાં 3 અને નરોડા પોલીસ સ્ટેશનમાં ગાળાગાળી અને માથાકૂટનો 1 ગુન્હો નોંધાયેલો છે અને બીજા આરોપી નીરવ ભરવાડની વાડજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
Source link