લોક કલાકાર દેવાયત ખવડને મોટો ઝટકો લાગ્યો છે. તાલાલા હુમલા કેસમાં સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજીને માન્ય રાખી દેવાયત સહિત અન્ય આરોપીઓના જામીન રદ કર્યાં છે. હવે આ બધા આરોપીઓએ તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
જામીન સામે તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો
નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા આરોપીના જામીન અગાઉ મંજૂર કર્યા હતા. જેની સામે તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. રિવિઝન અરજી દાખલ કરી હતી. જેના પગલે આજે વેરાવળ સેશન્સ કોર્ટનાં સરકારી પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે.
આરોપીએ જમાનતની રકમ ભરી મુક્તિ મેળવી હતી
દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની અદાલતે 18 ઓગસ્ટે મંજૂર કર્યા હતા. આ કેસમાં તમામ આરોપીઓને રૂ. 15,000 જમાનત રકમના આધારે જામીન પર મુક્ત કરવાની શરત રાખવામાં આવી હતી. આરોપીઓએ આ રકમ ભરીને કાયદેસર રીતે મુક્તિ મેળવી હતી.
દેવાયત સામે હત્યાનો પ્રયાસ સહિતના 5 ગુના નોંધાયેલા છે
આરોપીઓ સામે બીએનસીની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ તથા આર્મ્સ એક્ટની કલમ લગાવી છે. દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.




Leave a Comment