મારું ગુજરાત

Natural farming : અમરેલીના ખેડૂત દંપતી અંજીર ઉગાડીને વર્ષે ₹22 લાખ કમાયા

પરંપરાગત ખેતીમાં મળતી અનિશ્ચિતતા અને ઓછી આવકથી કંટાળીને ખેડૂતો હવે નવા પાકો અને ખેતીની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ જ દિશામાં અમરેલી જિલ્લાના મોટા આંકડીયા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિનેશભાઈ સવસૈયા અને તેમના પત્ની વિલાસબેને એક અનોખી પહેલ કરી છે. તેમણે મોંઘેરા ગણાતા અંજીરની પ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર ખેતીમાં જ સફળતા નથી મેળવી, પરંતુ જાતે જ વેપારી બનીને વર્ષે રૂ. 22 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.

ચીનની મુલાકાત અને પ્રાકૃતિક કૃષિનો સંકલ્પ:

પરંપરાગત રોકડિયા પાકોની ખેતી કરતા દિનેશભાઈને વર્ષ 2019માં ચીનની મુલાકાત દરમિયાન અંજીરની ખેતી જોવાનો મોકો મળ્યો. ત્યાંથી પ્રેરણા લઈને તેમણે ભારતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રની આબોહવામાં, અંજીરની ખેતી કરવાનો સંકલ્પ કર્યો. 2020માં તેમણે 4 એકર જમીનમાં મલેશીયન જાતના જી.એચ.જી 120 અને હની ટેસ્ટ મલેશીયન ફિગ વેરાયટીના 3,400 ટીસ્યુ કલ્ચર પ્લાન્ટનું વાવેતર કર્યું.

પાકથી પ્રોસેસિંગ સુધીની સફર:

દિનેશભાઈની સફળતા માત્ર અંજીર ઉગાડવા પૂરતી સીમિત નથી. તેઓ અંજીરને પ્રોસેસ કરીને 28થી વધુ વિવિધ ઉત્પાદનો બનાવે છે. અંજીરના પલ્પમાંથી હની જામ, ચટણી, ડ્રાયફ્રૂટ મીઠાઈઓ અને અન્ય ખાદ્ય વસ્તુઓ બનાવીને સીધા બજારમાં વેચે છે. આ પદ્ધતિથી તેઓ મધ્યસ્થીઓનો ખર્ચ બચાવીને વધારે નફો કમાય છે. તેમનો આ પ્રયોગ અન્ય ખેડૂતો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે કે ખેડૂતે હવે માત્ર અનાજ ઉગાડનાર નહીં, પરંતુ પોતાના પાકની કિંમત જાતે નક્કી કરનાર વેપારી બનવું જોઈએ.

સરકારી સહાય અને વૈજ્ઞાનિક અભિગમ:

ગુજરાત સરકારની બાગાયત યોજના હેઠળ દિનેશભાઈએ રૂ. 60 હજારની સહાય પણ મેળવી હતી. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવીને તેમણે ઘન જીવામૃત અને આચ્છાદનનો ઉપયોગ કર્યો, જેના કારણે પાકની ગુણવત્તા ઉત્તમ રહી. અંજીરના પાક માટે જરૂરી રેતાળ કાળી જમીન અને સૂકા વાતાવરણનો લાભ તેમને મળ્યો, જેનાથી 5-6 મહિનામાં પાક તૈયાર થઈ જાય છે. એક એકર જમીનમાં આશરે 550 છોડ વાવી શકાય છે અને દરેક છોડમાંથી 10-15 કિલો અંજીર મળે છે.

નર્સરી અને વધારાની આવક:

દિનેશભાઈ અને તેમના પત્નીએ ખેતીની સાથે વેપારને પણ જોડી દીધો છે. તેઓ હવે અંજીરના છોડની નર્સરી પણ ચલાવે છે. વર્ષ 2023-24 દરમિયાન તેમણે 42 હજાર રોપાનું વેચાણ કર્યું હતું, જેનાથી તેમને ખેતી ઉપરાંત વધારાની આવક થઈ.

પ્રેરણાદાયક ઉદાહરણ:

આજે દિનેશભાઈ સવસૈયા અમરેલી પંથકના અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમનું ઉદાહરણ એ સાબિત કરે છે કે જો ખેડૂત પરંપરાગત પદ્ધતિઓને છોડીને આધુનિક અને પ્રાકૃતિક ખેતીને અપનાવે, અને પોતે જ વેપારી બને તો ખેતીમાંથી પણ આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય છે. તેમની સફળતા એ વાતનો પુરાવો છે કે પ્રાકૃતિક કૃષિ માત્ર જમીનનું આરોગ્ય જ નથી જાળવતી, પરંતુ ખેડૂતની આર્થિક સ્થિતિમાં પણ સુધારો લાવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button