ફિલ્મ એક્ટરના માતા પિતાને ગાંધીનગરના એક ગઠિયાએ IPO બજારમાં લોટમાં શેર ટ્રેડીંગ કરૂ છુ તેમ કહીને ફિલ્મ એક્ટરના માતા પિતા પાસે 38.44 લાખનું રોકાણ કરાવીને માત્રને માત્ર 1.75 લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના 36.69 લાખ ગઠિયાએ પરત આપવા માટે ગલ્લા તલ્લા કરતો હતો. અંતે કંટાળીને દંપતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના ગઠિયા વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.
ચાંદખેડા વિસ્તારમાં વંદનાબેન સંતકુમાર શર્મા પરિવારજનો સાથે રહે છે. સંતકુમાર ONGCમાંથી નિવૃત થયા છે. જ્યારે તેમનો દિકરો વિદિત ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કરે છે. વિદિત સાથે પરિવારજનો પરિચિત આશિષ શુકલાને મળવા માટે ગાંધીનગર ખાતે ઓફિસે ગયા હતા. જો કે, આશિષની ઓફિસમાં બેસવાની જગ્યા ન હોવાથી તે ભરતત ટ્રેડર્સ નામની ઓફિસમાં વિદિત અને તેના પરિવારજનોને લઇ ગયો હતો ત્યારે ભરત ટ્રેડર્સના માલિક જલજ દવે સાથે વિદિતને સંપર્ક થયો હતો. જલજે વિદિતને કહ્યુ કે, તમે શેરબજારમાં રોકાણ કરો. જેથી વિદિતે તેની માતાને સમગ્ર વાત કરીને જલજ દવે પાસે શેરબજારનું એકાઉન્ટ ખોલાવીને ટ્રેડિંગ ચાલુ કર્યુ હતુ. બીજી તરફ, જલજ તેના પરિવારજનો સાથે વિદિતના ઘરે જતો હોવાથી વંદનાબેન અને સંતકુમાર તેણે ઓળખતા હતા. જલજે એક દિવસ વંદનાબેન અને સંતકુમારને કહ્યુ કે, હું IPO બજારમાં લોટમાં શેર ટ્રેડીંગ કરું છું તમે રોકાણ કરશો તો બહુ મોટો ફાયદો રહેશે અને હું તમને સિક્યુરિટી પેટે મારી કંપનીના શેર એલોટના લેટર આપીશ તેમજ એફિડેવિટ પણ કરી આપીશ. વંદનાબેન અને સંતકુમારે વિશ્વાસમાં આવીને ટુકડે ટુકડે 38.44 લાખનું રોકાણ કર્યુ હતુ. જેમાં જલજે માત્રને માત્ર 1.75 લાખ રૂપિયા પરત આપ્યા હતા.
Source link