ગીર સોમનાથ કલેકટર દ્વારા ભેળસેળ યુક્ત ખાદ્ય તેલના વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. કલેક્ટર દ્વારા જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યતેલના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
1,014 તેલના ડબ્બા રિયૂઝ થયેલા મળ્યા, વેપારીઓમાં ભારે ફફડાટ
બે દિવસ પૂર્વે ઉનાથી રૂપિયા 31.50 લાખનો મુદ્દામાલ મળી આવ્યા બાદ આજે વધુ 10 સ્થળો પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વધુ 3,850 ડબ્બા શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જે પૈકી પ્રતિબંધિત 1,014 તેલના ડબ્બા રી યુઝ થયેલા પણ મળી આવ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તમામ ભેળસેળીયા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે તહેવારો ટાણે જ જન આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે તંત્રએ તવાઈ બોલાવી છે, જેના કારણે હાલમાં અનેક વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
ભેળસેળિયા ખાદ્ય પદાર્થોને લઈ આરોગ્ય મંત્રીનું નિવેદન
ભેળસેળિયા ખાદ્ય પદાર્થોને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તહેવારોના સમયમાં ચેકિંગ કરવાનું નક્કી કર્યું છે અને માવો, દૂધ, ઘી જેવી બનાવટોને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભેળસેળવાળા પદાર્થોને લઈને પણ ચેકિંગ હાથ ધર્યું છે. ભેળસેળયુક્ત પદાર્થો મેન્યૂફેક્ચરિંગ સુધી ના પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સારી રીતે કામ કરી રહ્યું છે અને સરકારના પ્રયાસથી નકલી ખાદ્ય પદાર્થો રાજ્યમાંથી પકડાઈ રહ્યા છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે અને રૂપિયા 4.5 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણા અને પાટણ ખાતેથી રૂપિયા 1.39 કરોડનું 45.5 ટનનું શંકાસ્પદ ઘી પકડી પાડ્યું છે. આ સાથે જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા 640થી વધુ જાગૃતિ કાર્યક્રમો પણ હાથ ધરાયા છે.
Source link