બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી ન હતી. સિરીઝમાં 1-0થી આગળ રહેલી ભારતીય ટીમે છેલ્લી 4 મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું. આ જ કારણ હતું કે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 3-1થી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ, BCCI કોચિંગ યુનિટમાં મોટા ફેરફારો કરી શકે છે. ટીમમાં નવા બેટિંગ કોચની એન્ટ્રી થઈ શકે છે.
નવા બેટિંગ કોચની થઈ શકે છે એન્ટ્રી
ઓસ્ટ્રેલિયામાં શરમજનક હાર પહેલા, ભારતીય ટીમે ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં પણ 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. સતત ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ ભૂતપૂર્વ સ્થાનિક ક્રિકેટ ખેલાડી સિતાંશુ કોટકને ભારતીય ટીમના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.
આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે BCCI સિતાંશુ કોટકને નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં વર્તમાન ભારતીય બેટિંગ કોચ અભિષેક નાયર, જેમને 2024 ના T20 વર્લ્ડકપ પછી જ ભારતીય ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા હતા.
ભારતીય સિનિયર ટીમનું પણ કર્યું છે નેતૃત્વ
હાલમાં, સિતાંશુ ઈન્ડિયા A ના મુખ્ય કોચ છે. તેમને ઘણી વખત ભારતીય સિનિયર ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. વર્ષ 2023 માં, ભારતે જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં આયર્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જ્યાં 3 મેચની T20 સિરીઝ રમાઈ હતી. આ પ્રવાસમાં સિતાંશુ કોટક ભારતીય ટીમના મુખ્ય કોચ હતા.
ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
52 વર્ષીય કોટકે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ આ ખેલાડીને ક્યારેય ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નહીં. પોતાની કારકિર્દીમાં, તેમને 130 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 41.76 ની સરેરાશથી 8061 રન બનાવ્યા છે. 89 લિસ્ટ એ મેચોમાં તેમને 3083 રન બનાવ્યા છે. આ સિવાય ભૂતપૂર્વ ખેલાડીએ 9 T20 મેચોમાં 133 રન બનાવ્યા છે.