આવકવેરા વિભાગે હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ (એચજીએસ) પર આશરે રૂ.2,500 કરોડની કરચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. નવ મહિનાની તપાસ બાદ તાજેતરના આંતરિક અહેવાલમાં હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ સામેના આ આરોપોની રૂપરેખા આપવામાં આવી છે. ટેકસ અધિકારીઓએ જનરલ એન્ટી એવોઈડન્સ રૂલને ટાંકીને દાવો કર્યો છે કે, એચજીએસ ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે તેના નફાકારક હેલથકેર ડિવિઝનને વેચ્યા પછી ખોટ કરતી કંપની સાથે મર્જ થઈ ગઈ છે, એવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલમાં હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ લિમિટેડના પ્રવક્તાને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, ઉક્ત એમ એન્ડ એ ટ્રાન્ઝેક્શન અંગે ગયા વર્ષના આઈટી સર્વેમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. અને કાયદાકીય તથા કર નિષ્ણાંતોના મંતવ્યો દ્વારા સમર્થિત યોગ્ય જવાબો અને દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. ત્યારથી કોઈ કથિત ડિમાન્ડ નોટિસ નહીં મળ્યાનું જણાવવામાં આવ્યું હતું. અમારૂં માનવું છે કે, એમ એન્ડ એ પ્રક્રિયા કર કાયદાને અનુરૂપ હતી. જો કર સત્તાધીશો નોટિસો મોકલે છે, તો તેઓ પ્રવર્તમાન પ્રક્રિયાઓ અને કાયદાઓ અનુસાર કાયદેસર રીતે લડવામાં આવશે.
હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ લિમિટેડે તેના હેલ્થકેર સર્વિસિસ ડિવિઝનને બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી એશિયાની પેટાકંપની બેટાઈન બીવીને વેચી દીધી હતી. વેચાણ પછી, કંપનીએ તેના ડિજિટલ મીડિયા અને કોમ્યુનિકેશન બિઝનેસ, એનએક્સટી ડિજિટલને હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ સાથે મર્જ કર્યું છે. આવકવેરા વિભાગના તારણો અનુસાર, એનએક્સટી ડિજિટલ એક ખોટ કરતી સંસ્થા હતી. મર્જરની રચના માત્ર કર અને મૂડી લાભોથી બચવા માટે કરવામાં આવી હતી, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. મર્જરનો ટેક્સ ટાળવા સિવાય કોઈ હેતુ નથી. પરિણામે જીએએઆર હેઠળ રૂ.1,500 કરોડ અને મૂડી લાભો માટે વધારાના રૂ.એક હજાર કરોડની માંગણી ઉભી કરવામાં આવી છે. આઈટી વિભાગે તપાસના ભાગરૂપે નવેમ્બર 2023માં કંપનીના પરિસરમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરી હતી. તે સમયે હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સે જણાવ્યું હતું કે, કંપની પાસે આ તબક્કે પ્રદાન કરવા માટે કોઈ વધારાની માહિતી નથી. જો મામલો આગળ વધશે અને આ સંબંધમાં કોઈ સામગ્રી, માહિતી પ્રાપ્ત થશે તો કંપની સ્ટોક એક્સચેન્જોને અપડેટ કરશે.
Source link