ટીમ ઈન્ડિયા A આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં ભારતે ઓસ્ટ્રેલિયા A સામે બે ચાર દિવસીય મેચોની શ્રેણી રમવાની છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમની જાહેરાત થવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કમાન જમણા હાથના બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડના હાથમાં હોઈ શકે છે.
રૂતુરાજ કેપ્ટનશિનો મોટો દાવેદાર
અહેવાલ અનુસાર, પ્રતિભાશાળી જમણા હાથના બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ, જેણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલેથી જ છાપ છોડી છે, તેને 15 સભ્યોની ટીમ ઈન્ડિયા Aની આગેવાની માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. રૂતુરાજ ગાયકવાડ ઉપરાંત, ભારત A ટીમમાં અભિમન્યુ ઇશ્વરન અને સાઇ સુદર્શન જેવા અન્ય મુખ્ય ઓપનિંગ બેટ્સમેનોનો પણ સમાવેશ થઈ શકે છે. 29 વર્ષીય ઇશ્વરન આ સ્થાનિક સિઝનમાં શાનદાર ફોર્મમાં છે, તેણે બંગાળ માટે દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી અને રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે.
આ ખેલાડીઓને મળી શકે છે મોકો
દેવદત્ત પડિકલ, બી ઈન્દરજીથ અને રિકી ભુઈના સમાવેશથી મિડલ ઓર્ડર મજબૂત થશે. ત્રણેય ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિવાય અભિષેક પોરેલ અને ઈશાન કિશન પ્રવાસ માટે વિકેટકીપિંગની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે. ઓલરાઉન્ડરોની વાત કરીએ તો ટીમમાં 21 વર્ષીય નિતીશ કુમાર રેડ્ડીનો સમાવેશ થાય છે. નીતીશે ભારત માટે બાંગ્લાદેશ સામે ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કર્યું હતું.
આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયા
રૂતુરાજ ગાયકવાડ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિકલ, સાઈ સુદર્શન, બી ઈન્દરજીત, અભિષેક પોરેલ (wk), ઈશાન કિશન (wk), મુકેશ કુમાર, રિકી ભુઈ, નિતીશ કુમાર રેડ્ડી, માનવ સુથાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ, તનુષ કોટિયન, યશ દયાલ.