રાજ્યના ઉત્તર ગુજરાત વિસ્તારમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે. બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખાય છે. આ જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખાય છે.
ચોમાસામાં પણ તંત્રની મદદ વગર ગ્રામજનોએ જાતે રેસ્કયુ કરીને તમામ બાળકોને બચાવ્યા હતા
દાંતા તાલુકામાં બોરડીયાળા ગામમાં દર વર્ષે વરસાદની ઋતુમાં ગ્રામજનોને મંડારા વાસથી ગામમાં આવતા જતા વચ્ચે કીડી મકોડી નદી પાર કરીને જવું પડતું હોય છે. નદીમાં થોડા દિવસ અગાઉ પાણીનો પ્રવાહ વધારે હોવાથી 50 જેટલા શાળાના બાળકો ફસાઈ ગયા હતા. તંત્રની મદદ વગર ગ્રામજનોએ જાતે જ તેમનું રેસ્કયુ કરીને તમામ બાળકોને બચાવ્યા હતા. ગ્રામજનોએ સ્વ ખર્ચે ફાળો પણ એકઠો કરીને પૂલ બનાવ્યો છે, બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે પ્રક્રિયા પૂલ અને રસ્તાને લઈને 210 લાખની મંજૂરી અપાઈ છે.
700 કરતા વધુ બાળકો અભ્યાસ કરે છે
દાંતા તાલુકાના બોરડીયાળા ગામે સરકારી શાળા જાહેર માર્ગ પર આવેલી છે. આ શાળામાં 700 કરતા વધુ બાળકો અભ્યાસ કરે છે, જેમાંથી 200 જેટલા બાળકો તો બોરડીયાળા મંડારાવાસ ખાતે રહે છે, જેમને શાળાએ આવવા જવા વરસાદની ઋતુમાં કીડી મકોડી નદીમાંથી પસાર થવું પડે છે. થોડા દિવસ અગાઉ 50 જેટલા બાળકો નદીમાં ફસાઈ ગયા હતા અને તંત્ર દ્વારા મદદ ન મળતાં ગ્રામજનો દ્વારા જાતે જ રેસ્ક્યુ કરીને બાળકોને બચાવવામાં આવ્યા હતા.
રાજકીય નેતાઓથી ગ્રામજનો ભારે નારાજ
ત્યારબાદ ગ્રામજનોએ સરકાર પાસે આશા રાખ્યા વગર જ જાતે ફાળો એકઠો કરીને પુલ બનાવ્યો હતો અને આ કારણે ગ્રામજનો ભારે નારાજ પણ છે અને કહ્યું છે કે આગામી દિવસોમાં જે પણ ચૂંટણી આવે તેમાં અમારા ગામમાં કોઈપણ નેતાઓને પ્રવેશ આપીશું નહીં. બીજી તરફ દાંતા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતની દરખાસ્ત આવી છે અને આગામી દિવસોમાં કામ શરૂ થશે. ત્યારે ગ્રામજનો રાજકીય નેતાઓથી ભારે નારાજ છે. શાળાએ જતા બાળકોએ જણાવ્યુ હતુ કે અમે સવારે શાળાએ જઈએ ત્યારે અને પરત આવતા પુલ પર પથ્થરો મૂકીએ છીએ.
Source link