ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો એકદમ તળિયે પહોંચી ગયા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિવેદન આપ્યું છે કે કેનેડાની જમીન પર ચાહે હત્યા હોય, બળજબરીપૂર્વક વસૂલાત હોય કે પછી કોઈ અન્ય હિંસક ગતિવિધિ, તેનો કોઈપણ પ્રકારે સ્વીકાર નહીં કરાય.
તેમણે કહ્યું હતું કે કોઈપણ દેશ જે લોકશાહી રીતે કાયદાના શાસનને માનતો હોય તે પોતાના સાર્વભૌમત્વના આ પ્રકારના ભંગનો સ્વીકાર ન કરી શકે. આ નિવેદન બાજી પહેલા બંને દેશ વચ્ચેના સંબંધો એટલી હદ સુધી ખરાબ થઈ ગયા છે કે બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને તગેડી મૂક્યા છે. ગયા વર્ષે જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક પાર્કિંગમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાને ઉઠાવેલા ભારત વિરોધી ઝંડાનું મુસ્લિમ કનેક્શન પણ સામે આવ્યું છે.અને મનાય છે કે ટ્રુડો મુસ્લિમ મત મેળવવા માટે ભારતનો વિરોધ કરી રહ્યા છે. તો સમજીએ કે કેનેડામાં હિન્દુ-મુસ્લિમ અને શીખ મતનું ગણિત કેવું છે અને કેનેડાના રાજકારણમાં ભારતીયોની કેટલી મહત્ત્વની ભૂમિકા છે તે પણ સમજીએ.
ભારતે ભયંકર ભૂલ કરી છે
કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ દેશની અંદર વિદેશી હસ્તક્ષેપ મુદ્દે થયેલી પબ્લિક ઇન્ક્વાયરીમાં કહ્યું હતું કે જો ગયા વર્ષે કેનેડાની ધરતી પર એક શીખ અલગતાવાદી નેતાના મોત પાછળ દિલ્હીનો હાથ હતો તો, કેનેડા આ વાતની અવગણના ન કરી શકે. અમે ભારતને ઉશ્કેરવા અથવા તેની સાથે ઝઘડો કરવા વિશે નથી વિચારી રહ્યા. ભારત સરકારે આ વિચારીને ભયંકર ભૂલ કરી છે કે તેઓ કેનેડાની સુરક્ષા અને તેના સાર્વભૌમત્વમાં આક્રમક રીતે હસ્તક્ષેપ કરી શકે છે. કેનેડાના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારે જવાબ આપવો પડયો છે.
મુસ્લિમોએ ગયા વર્ષે રેલી કાઢી હતી
ગયા વર્ષે મુસ્લિમ સમુદાયે કેનેડામાં મોટી રેલી કાઢી હતી. કેનેડાની સ્કૂલોમાં જાતીય વિચારધારા અથવા સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એન્ડ જેન્ડર આઇડેન્ટિટીને સામેલ કરાઈ હતી. જેનો કેનેડામાં રહેતા ઇસ્લામ ધર્મના અનુયાયીઓ વિરોધ કરી રહ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ કનેડામાં આયોજિત વન મિલિયન માર્ચ ફોર ચિલ્ડ્રન દરમિયાન મુસ્લિમોની સંસ્થા કેનેડાના ધ મુસ્લિમ એસોસિયેશનના લોકોએ જસ્ટિન ટ્રુડો સરકાર સામે માગ કરી હતી કે દેશમાં શરિયા કાયદો લાગુ કરવામાં આવે. તેમણે ટ્રુડો સરકારને ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે અમે એક દિવસ બહુમતીમાં આવી જઈશું અને ત્યારે તમારે આમ કરવું જ પડશે.
મુસ્લિમ-શીખ જીતની ચાવી બની શકે
2021ની વસ્તી ગણતરી અનુસાર કેનેડાની કુલ વસ્તી 3.9 કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં 8.30 લાખ હિન્દુ વસ્તી છે તો ભારતથી કેનેડા ગયેલા શીખોની વસ્તી 7.70 લાખ છે. કેનેડામાં ઇસ્લામને માનનારા લોકોની વસ્તી 18 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે દેશમાં સૌથી વધારે વસ્તી ખ્રિસ્તી સમુદાયની છે.
કેનેડિયન મુસ્લિમોનું પાકિસ્તાન કનેક્શન
કેનેડામાં જે મુસ્લિમ વસ્તી છે તેમાં મોટાભાગનાનું પાકિસ્તાન કનેક્શન છે. તેવામાં કેનેડામાં જ્યારે કોઇ મુસ્લિમોની સાથે શીખ વોટબેન્ક સાધી લે છે તો તેની ચૂંટણીમાં જીત લગભગ નક્કી થઈ જાય છે. કેનેડામાં ખાલિસ્તાનીઓનું ગઠબંધન પાકિસ્તાનના પ્રભાવવાળા મુસ્લિમો સાથે થાય છે તેમાં ટ્રુડો મુસ્લિમ સમુદાય અને શીખોના મત એકસામટા મળે તે માટે ભારત વિરોધી વલણ અપનાવીને બેઠો છે. તે ઇચ્છે છે કે આ વોટોનું ધ્રુવીકરણ તેના પક્ષમાં થઈ જાય.
Source link