રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં રમતો જોવા મળશે નહીં. મીડિયા રિપોર્ટ મુજબ રોહિતે પોતાને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. રોહિતની જગ્યાએ જસપ્રીત બુમરાહ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.
આ સાથે શુભમન ગિલ ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરશે. પ્રસિદ્ધ કૃષ્ણાને પાંચમી ટેસ્ટમાં તક મળી શકે છે. બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રોહિતનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. બેટ સાથે તેના ખરાબ પ્રદર્શનની સાથે રોહિતની કેપ્ટનશિપ પણ સવાલોના ઘેરામાં આવી છે.
સિડની ટેસ્ટમાં આરામ કરશે રોહિત શર્મા
રોહિત શર્મા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે નહીં. રોહિતે સિડની ટેસ્ટમાં આરામ લેવાનો નિર્ણય કર્યો છે અને તેને આ અંગે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને જાણ કરી છે. રિપોર્ટ મુજબ ગંભીર-અગરકરે પણ રોહિતના નિર્ણય પર સહમતિ દર્શાવી છે. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળતો જોવા મળશે. બુમરાહે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી અને ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. બેટમાં સતત નિષ્ફળ જવાને કારણે રોહિતને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક એવા અહેવાલ છે કે રોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાની સફેદ જર્સીમાં જોવા નહીં મળે.
ટીમમાં પરત ફરશે ગિલ
સમાચાર મુજબ રોહિતની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં શુભમન ગિલની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. ગિલ સિડની ટેસ્ટમાં ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. ઓપનની જવાબદારી યશસ્વી જયસ્વાલની સાથે કેએલ રાહુલના ખભા પર રહેશે. મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. શુભમનની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી હતી અને રોહિત શર્મા પોતે ઓપનિંગ કરવા આવ્યો હતો. આ નિર્ણય સંપૂર્ણપણે ભારતીય ટીમની વિરુદ્ધ ગયો.
પ્રસિદ્ધ કૃષ્ણાને મળશે તક
પ્રસિદ્ધ કૃષ્ણા સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરશે. આકાશદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળશે. આકાશદીપ ઈજાના કારણે પહેલાથી જ પાંચમી ટેસ્ટમાંથી બહાર છે. પાંચ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા હાલમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ટીમ ઇન્ડિયાને સિડની ટેસ્ટ કોઈપણ કિંમતે જીતવી પડશે.