લોકસભાની ચૂંટણીમાં હિમાચલના મંડીમાંથી સાંસદ કંગના રનૌત પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. બોલ્ડ નિવેદનો આપવામાં કંગના ખચકાતી નથી. ત્યારે કંગનાનું એક એવુ નિવેદન સામે આવ્યુ છે કે જેનાથી ભાજપ જ ખફા થઇ ગયુ છે. કંગના રનોતે મીડિયા સાથે વાતચીત દરમિયાન 3 કૃષિ કાયદાને લઇને એવુ નિવેદન આપ્યુ કે વિવાદ વકર્યો છે. તેણે કહ્યું કે વિવાદાસ્પદ 3 કૃષિ કાયદાને પરત લાવવા જોઇએ. ઉલ્લેખનીય છે કે 3 કૃષિ કાયદાને લઇને વિરોધ થયો હતો અંતે આ કાયદાને પરત લેવાની ફરજ પડી હતી. ત્યારે હવે કંગનાએ ફરી આવું નિવેદન આપતા વિવાદ થયો છે.
કૃષિ બિલને લઇને શું બોલી કંગના ?
કંગના રનૌતે નિવેદન આપતા જણાવ્યું હતું કે હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ.. જો કે, કંગનાના આ નિવેદન પર ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સ્પષ્ટતા કરી કે આ તેમનું અંગત નિવેદન છે અને તે પાર્ટીના અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતું નથી.
બીજેપીએ તાત્કાલિક કરી સ્પષ્ટતા
ગૌરવ ભાટિયાએ એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાછી ખેંચવામાં આવેલા કૃષિ બિલ પર બીજેપી સાંસદ કંગના રનૌતનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ નિવેદન તેમનું અંગત નિવેદન છે. કંગના રનૌત બીજેપી તરફથી આવુ નિવેદન આપવા માટે અધિકૃત નથી. કૃષિ બિલ પર ભાજપના દ્રષ્ટિકોણને દર્શાવતું નથી..અમે આ નિવેદનનું ખંડન કરીએ છીએ.
કોંગ્રેસે કરી આકરી ટીકા
કોંગ્રેસે કંગનાના નિવેદનની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી તરફ ઈશારો કરતા કહ્યું કે ત્રણ કાળા કાયદાનો વિરોધ કરતી વખતે 750થી વધુ ખેડૂતો શહીદ થયા હતા. તેને ફરીથી લાગુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે આવું ક્યારેય થવા દઈશું નહીં. હરિયાણા તેનો જવાબ આપશે.