તહેવાર હોય કે સામાન્ય દિવસો હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ, સોમનાથ આવતા જતા રહેતા હોય છે. જેના માટે પ્રવાસીઓએ રોડ અથવા તો ટ્રેન વ્યવહારનો ઉપયોગ કરવો પડતો હોય છે. પરંતુ, હવે પ્રવાસીઓને અમદાવાદથી હવાઈ સુવિધા પણ મળી રહેશે. આગામી 29 ઓક્ટોબરથી અમદાવાદ કેશોદ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
અમદાવાદ-કેશોદ-દીવ વચ્ચે ચાલુ થનારી આ ફ્લાઈટ સપ્તાહના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી કેશોદ માટે આ ફ્લાઈટ સવારે 10-55 મિનિટે ઉપડશે જે સવારે 11-20 કલાકે કેશોદ પહોંચશે. ત્યારબાદ આ ફ્લાઈટ કેશોદથી દીવ માટે રવાના થશે. આ જ ફ્લાઈટ બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી કેશોદ આવશે ત્યારબાદ કેશોદથી બપોરે 4:20 કલાકે અમદાવાદ માટે ઉડાન ભરશે. 75 સીટની કેપેસિટી ધરાવતું પ્લેન આ રૂટ પર ચલાવવામાં આવશે.
કેશોદ-મુંબઈ વચ્ચે હવે ત્રણના બદલે ચાર દિવસ ફ્લાઈટ મળશે. કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટની ફ્રિકવન્સી માં વધારો કરવામાં આવ્યો છે. પહેલા એક અઠવાડિયામાં કેશોદથી મુંબઈ જવા માટે ત્રણ દિવસ ફ્લાઇટ શરૂ હતી તે હવે એક દિવસનો વધારો કરી અઠવાડિયામાં ચાર દિવસ કેશોદ થી મુંબઈ ફ્લાઇટ ચાલશે.આ ફ્લાઈટ રવિવાર, સોમવાર ,બુધવાર અને શુક્રવારે મળશે. કેશોદ એરપોર્ટ ઓથોરિટીના સભ્ય જતીન સોઢાએ જણાવ્યું હતું કે કેશોદ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
Source link