સુરેન્દ્રનગર પાલિકામાં કામ કરતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગત તા. 15મીએ રજૂઆત કરી આંદોલનની ચીમકી અપાઈ હતી. ત્યારે તા. 17મીથી પાલિકા કચેરી પરિસરમાં સફાઈ કામદારોએ ધરણાંની શરૂઆત કરી આંદોલનના મંડાણ કર્યા છે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકાનો વહીવટ જાણે ખાડે ગયો હોય તેમ શહેરની સ્થિતિ બદતર થતી જાય છે. શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. ત્યારે શહેરની સફાઈની મહત્વની કામગીરી કરનાર પાલિકાના સફાઈ કર્મચારીઓને લાંબા સમયથી વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા છે. અનિયમિત પગાર, ઓછા સફાઈ કામદારો રાખી તેઓ પર કામગીરીનું ભારણ નાંખવુ, રાતોરાત છુટા કરી દેવા જેવા પાલિકાના સત્તાધીશોના અણઘડ નિર્ણયથી સફાઈ કામદારોમાં રોષ ફેલાયો છે.
આથી ગત તા. 15-10ના રોજ ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ મયુરભાઈ પાટડીયા સહિતનાઓએ પાલિકામાં આવેદનપત્ર આપી તા. 17-10-24થી આંદોલનના મંડાણની ચીમકી આપી હતી. ત્યારે તા. 17-10થી નગરપાલિકા કચેરીના પરિસરમાં જ પ્રતીક ધરણાં અને સુત્રોચ્ચાર કરી સફાઈ કામદારોએ આંદોલનના મંડાણ કર્યા છે.
ચૂડા પાંજરાપોળના કર્મીઓને છૂટા કરી દેવાતા અનશન આંદોલન
ચૂડા મહાજન પાંજરાપોળમાં કામ કરતા 8થી 10 કામદારોને છુટા કરી દેવાયા છે. એથી તેઓએ પાંજરાપોળ બહાર ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. આ અંગે પાંજરાપોળના બકુલભાઈએ જણાવ્યુ કે, આ કર્મીઓની માંગણીઓ ટ્રસ્ટી ફોરેનથી દિવાળી બાદ આવ્યા પછી સાંભળીને નિકાલ થશે. હાલ તેઓને કામ પર આવી જવા જણાવાયુ છે.
Source link