દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ-1ની બાળકીની હત્યાના કેસમાં પોલીસે શાળાના આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની સઘન પૂછપરછ કરતા આખરે તેણે પોલીસ સમક્ષ બાળકીની હત્યાનો ગુનો કબૂલ કરી લીધો છે.
બે દિવસ પહેલા શાળામાંથી મળ્યો હતો મૃતદેહ
સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આ બાળકી બે દિવસ પહેલા શાળાએથી ઘરે પરત ન ફરતા બાળકીના માતાપિતાએ તપાસ શરૂ કરી હતી અને શાળાએ પહોંચ્યા હતા. જો કે શાળાને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી આ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત
બાળકીનો મૃતદેહ મળ્યાંની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
આચાર્યએ ગાડીમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો
તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે પોલીસ સમક્ષ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હવસખોર આચાર્ય બાળકીને ગાડીમાં લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે બાળકીએ બુમાબુમ કરી મુકતા આચાર્યએ ગળું દબાવીને ગાડીમાં જ બાળકીની હત્યા કરી નાખી હતી.
Source link