કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ 2024નું આયોજન કેન્સરના રોગ અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં જોમ જુસ્સો વધારવા અને સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં ક્લબ યુવીના સહયોગથી સંત મોરારિબાપુની વિશેષ ઉપસ્થિતિમાં ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ 2024’નું આયોજન કર્યું છે, જેમાં કુલ 3000થી વધુ કેન્સર વોરિયર્સે ગરબે ઘૂમી કેન્સરને હરાવવા શક્તિનો શંખનાદ કરી કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો હતો.
6 કીમો અને 28 રેડિયેશન લીધા છે: બીના મહેતા
કેન્સર વોરિયર્સ બીના મહેતાએ જણાવ્યું કે, મને બ્રેસ્ટ કેન્સર હતું, અને 2016માં ડિટેક્ટ થયું હતું. અને બે વર્ષ મારી ટ્રીટમેન્ટ ચાલી, 6 કિમો અને 28 રેડિયેશન લીધા છે મેં. અને નવરાત્રિ મારો ફેવરીટ ફેસ્ટિવલ છે. ખૂબ જ એન્જોય કરુ છું. બધા મારા જેવા ભાઈઓ-બહેનો, બાળકો કેન્સર વોરિયર્સ ગરબામાં જોડાયા છે. આશરે 3 થી 4 હજાર જેટલા લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા છે. અગાઉ કેન્સર વોરિયર્સનો ફેશન શૉ યોજાયો હતો.
નાની નાની વાતમાં ફરિયાદ ન કરવી જોઈએ
આજે એકસાથે આટલાં બધાં કેન્સર વોરિયર્સ એકઠા થયાં છે, જે તમામ એકસરખી પરિસ્થિતિમાંથી પસાર થયાં છે. બધાને એકબીજામાંથી પ્રેરણા મળી રહે છે અને અન્યને પણ પ્રેરણા આપી શકે છે. ગરબાની આયોજન ઈમોશનલ મોમેન્ટ છે. અમારા જેવા લોકોને આજે પ્લેટફોર્મ મળે છે, જેથી અમને પણ ખૂબ મજા આવે છે. લોકોને દિલથી જિંદગી જીવવા માટે હું સંદેશો આપવા માગું છું. નાની નાની વાતમાં ફરિયાદ ન કરવી જોઈએ. જિંદગી દિલથી જીવવી જોઈએ તેને માણવી જોઈએ, કારણ કે ભગવાને આપેલું સ્વસ્થ શરીર એ એક મોટી કુદરતની દેન છે.
5 વર્ષની વયે બ્લડ કેન્સર થયું
માત્ર પાંચ વર્ષની કુમળી વયે જેમને બ્લડકેન્સરનું નિદાન થયું હતું એવી કેન્સર વોરિયર મહેક પંજવાણીએ જણાવ્યું હતું કે પ્રથમ જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે મારી હાલત ખૂબ જ ખરાબ હતી. ડોક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા હતા અને કેન્સર ક્યોર નહીં થઈ શકે એવું જણાવ્યું હતું. આ પછી મારી અને મારા આખા પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ હતી. કેન્સરમાંથી બહાર આવી શકાય એવું બધા લોકો સમજતા નથી. બધાને એવું થાય કે આને કેન્સર છે તો આપણા બાળકને પણ કેન્સર થઈ જશે. રહેવા માટે મારાં માતા-પિતાને કોઈ ઘર પણ આપતું ન હતું. અમે મારી બીમારી પાછળ અમારું બધું ગુમાવી દીધું હતું. એ દિવસ અને આજનો દિવસ અલગ છે, આજે એકદમ ખુશ થઈ ગરબા રમ્યા છીએ.
‘કેન્સર એટલે કેન્સલ’ની થીમથી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
કેન્સર વોરિયરે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં સારવાર લીધા બાદ હાલમાં સંપૂર્ણપણે કેન્સર ક્યોર થઈ ગઈ છું. લોકોએ ‘કેન્સર એટલે કેન્સલ’ એવી માન્યતાઓથી ભરમાવું જોઈએ નહીં. કેન્સરપીડિત હોવાના લીધે શરૂઆતમાં શારીરિક તકલીફો સાથે સામાજિક સ્તરે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે સમાજમાં કેન્સર અંગે જનજાગૃતિ ધીમે ધીમે વધી રહી છે. કેન્સર સામે યુદ્ધ લડતાં-લડતાં પરિવારના સહયોગથી 12 સાયન્સ નીટની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. હાલમાં કેનકિડ્સ ગ્રુપ સાથે જોડાઈને કેન્સરના ઈલાજ માટે લોકોને જાગ્રત કરી રહી છું.
ગુજરાતભરમાંથી કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમ્યાં
કેન્સર કેર ફાઉન્ડેશનના અશ્વિનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કેન્સર અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં આશા તથા જોમ ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન સતત કાર્યરત છે. મેં મહિનામાં ફેશન શો કર્યા બાદ 2 ઓક્ટોબરે દેશમાં પ્રથમ વખત અનોખા કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર ક્લબ યુવી ખાતે નવરાત્રિ મહોત્સવ યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતના 3000થી વધુ કેન્સરગ્રસ્ત ભાઇઓ, બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો અને ગરબે ઘૂમી કેન્સર સામે જીતનો જુસ્સો દર્શાવ્યો હતો. આ તકે 108 કેન્સરગ્રસ્ત બહેનો દ્વારા દેવી કવચની સ્તુતિનું પઠન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરીબ પરિવારની 700 જેટલી દીકરીઓને સર્વાઈકલ વેક્સિનેશ માટેના ગિફ્ટ વાઉચર નિઃશુલ્ક આપવામાં આવ્યાં હતાં અને કેન્સરને આગળ વધતું અટકાવવા નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોરારિબાપુએ આ સંદેશ આપ્યો?
આ તકે મોરારિબાપુએ કેન્સર વોરિયર્સ માટે કાર્યરત આ સંસ્થાને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે સૌથી કઠોર ધર્મ એ માનવસેવા અને તેની સારવારનો છે. આ ધર્મનું બખૂબી નિર્વાહન ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે, એની પ્રસન્નતા વ્યક્ત કરું છું. કેન્સર વોરિયર દવા-સારવાર સાથે-સાથે પોતાનું આત્મબળ અને પ્રાણબળ વધારે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મોરારિબાપુએ કેન્સર પર લખાયેલાં બંને પ્રેરણાત્મક પુસ્તકો એક ‘વ્યસન કેન્સર’ લાઇફ સ્ટોરી અને કીન્તસુંગી ટેલ્સ લોકાર્પિત કરીને સંસ્થાને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું.
Source link