રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મોંઘવારી સામેની લડાઈ ચાલુ જ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ પોતાના નિર્ણયમાં આનો સંકેત આપ્યો છે. આરબીઆઈ એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા ગવર્નરે કહ્યું કે આરબીઆઈના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે આરબીઆઈએ સતત 10મી વખત રેપો રેટને સ્થિર કર્યો છે. ફેબ્રુઆરી-2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. આરબીઆઈએ વ્યાજ દર યથાવત્ રાખ્યા છે. જેથી મકાનની લોનના હપ્તામાં કોઈ ફેરફાર નહીં થાય.
આ અગાઉ મે-2022થી લઈ ફેબ્રુઆરી-2023 સુધી આરબીઆઈએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો. જે બાદ રેપો રેટ 6.5 ટકા પર આવી ગયો હતો. જે અત્યાર સુધી આ સ્તરે યથાવત્ હતું. જ્યારે આશા રાખવામાં આવતી હતી કે યુરોપિયન સેન્ટ્રલ બેંક અને ફેડ રિઝર્વની તરફથી વ્યાજ દરમાં કાપ અંગે આરબીઆઈએ પોતાની પોલિસીમાં ફેરફાર કરશે. પરંતુ એવું જોવા નથી મળ્યું.
કાપની અપેક્ષાઓ શા માટે હતી?
દેશના લોકો ઈચ્છે છે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે કારણ કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો આંકડો 4 ટકાથી નીચે જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોને આશા હતી કે આરબીઆઈ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા વલણથી મોંઘવારીના આંકડા નિયંત્રણમાં આવ્યા હશે. આવી સ્થિતિમાં RBI આ વખતે વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. પરંતુ આ જોવા મળ્યું નથી. નિષ્ણાતોના મતે RBI ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં કોઈ ઘટાડો કરશે નહીં.
આનો અર્થ એ છે કે આગામી નાણાકીય વર્ષ સુધી તે સામાન્ય લોકો માટે વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. બીજી તરફ જે રીતે રાજકીય તણાવ વધ્યો છે. તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં દેશમાં મોંઘવારી વધી શકે છે. આવી સ્થિતિમાં આરબીઆઈ ઘણી સાવધાની રાખી રહી છે. જો કે, આરબીઆઈ ગવર્નરે અગાઉની પોલિસી મીટ દરમિયાન કહ્યું હતું કે વિશ્વની અન્ય કેન્દ્રીય બેંકો જે નિર્ણયો લઈ રહી છે તે જ નિર્ણયો લેવા જરૂરી નથી.