ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમને 280 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ હવે ભારતીય ટીમ સિરીઝ પર સંપૂર્ણ કબજો કરવા કાનપુર પહોંચી ગઈ છે, જ્યાં બીજી મેચ રમાવાની છે. 27 સપ્ટેમ્બરથી યોજાનારી આ મેચ પહેલા 3 ભારતીય ખેલાડીઓ નેટ્સમાં પરસેવો પાડતા જોવા મળ્યા હતા.
ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને ઓપનર યશસ્વી જયસ્વાલ પ્રેક્ટિસ માટે પહોંચ્યા હતા. આ બંનેની સાથે સરફરાઝ ખાન પણ પ્રેક્ટિસ માટે આવ્યો હતો. તેને પ્રેક્ટિસ કરતો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ કાનપુર ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ સરફરાઝને તક મળશે.
શું સરફરાઝને તક મળશે?
કેએલ રાહુલ ચેન્નાઈ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે પ્રથમ દાવમાં માત્ર 16 રન બનાવ્યા હતા. તે જ સમયે, તેને બીજી ઇનિંગ્સમાં વધુ રમવાની તક મળી ન હતી. કારણ કે કેપ્ટન રોહિત શર્માએ 287ના સ્કોર પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. આથી રાહુલ 19 બોલમાં 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં તેને કાનપુર ટેસ્ટમાંથી બહાર કરીને સરફરાઝ ખાનને તક આપવાની ચર્ચા ચાલી રહી છે. જો કે,આમ થવું મુશ્કેલ લાગે છે, કારણ કે સરફરાઝનું નામ ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં સામેલ છે.
સરફરાઝ ખાન રૂતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં મુંબઈ સામે રમતા જોવા મળી શકે છે. જોકે, BCCIએ કાનપુર ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી. બોર્ડે નિશ્ચિતપણે કહ્યું છે કે જો ટીમ ઈન્ડિયા સાથે હાજર ખેલાડીઓ કાનપુર ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય તો તેમને ઈરાની કપ માટે જવું પડશે. સરફરાઝની સાથે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર યશ દયાલને પણ રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં રાખવામાં આવ્યા છે.
દુલીપ ટ્રોફીમાં સતત ફલોપ
સરફરાઝ ખાને આ વર્ષે ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની ડેબ્યૂ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ 5 મેચની સિરીઝમાં 3 મેચમાં તક આપી હતી, જેમાં તે 3 ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો હતો. સરફરાઝે 5 ઇનિંગ્સમાં કુલ 200 રન બનાવ્યા હતા. જોકે, તાજેતરમાં યોજાયેલી દુલીપ ટ્રોફીમાં તેનું બેટ ચાલ્યું ન હતું. તેણે બે મેચ રમી જેમાં તે કુલ 71 રન જ બનાવી શક્યો છે.