છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. જેના લીધે રોકાણકારોના પોર્ટફોલિયોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપના શેર વધુ તૂટયા છે. જો કે, લાર્જકેપમાં કેટલાક સ્ટોકને છોડી બાકીના સ્ટો્ક્સે નુકસાન કરાવ્યું છે. આજે 17 ઑક્ટોબર ગુરુવારે નિફ્ટીમાં 222 અંક તૂટીને 24,750 અંકે બંધ થયો જ્યારે સેન્સેક્સ 494 અંક તૂટીને 81,0006 અંક પર બંધ થયો હતો.
રોકાણકારોના છ લાખ કરોડ ડૂબ્યા
શેરબજારમાં આજે કડાકો આવવાને લીધે બીએસઈ માર્કેટ કેપ 4,63,29,045.07 રૂપિયાથી છ લાખ કરોડ રૂપિયા ઘટીને 4,57,27,893 રૂપિયા થઈ ગયા. ગત ત્રણ દિવસમાં આજે સૌથી મોટો કડાકો આવ્યો છે. આની પાછળનું કારણ કેટલાક હેવીવેઈટ શેરમાં મોટા ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગત ત્રણ દિવસમાં બંને ઈન્ડેક્સમાં દોઢ ટકા સુધી તૂટયા છે. બીએસઈના મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ આજે 1.53 ટકા અને 1.23 ટકા સુધી ઓછા થઈ ચુક્યા છે. આઈટીને છોડીને બીએસઈના બધા સેકટોરિયલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી સેક્ટોરિયલની વાત કરીએ તો ઓટો સેકટર્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. બાકી માત્ર આઈટી સેક્ટરમાં જ સુધારો જોવા મળ્યો છે.
બીએસઈ સેન્સેક્સના આ શેર તૂટયા
શેરબજારમાં ઘટાડાને લીધે સેન્સેક્સના ટોપ-30 શેર્સમાંથી 21 તૂટયા જ્યારે નવ શેર તેજી પર હતા. ઈન્ફોસિસના શેર 2.58 ટકા વધીને બંધ થયા. જ્યારે સૌથી વધુ ઘટાડો નેસ્લે ઈન્ડિયાના શેરમાં થયો. જે 3.39 ટકા ઘટીને 2379.70 રૂપિયા ઉપર બંધ થયા. ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટ સ્ટોકમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.
આ સ્ટોક 12 ટકા તૂટયા
આજના કારોબારી સત્રમાં બજાજ ઓટોના શેર 12.89 ટકા ઘટીને 10,119 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયા. હેવલ્સ ઈન્ડિયાના શેર 6.09 ટકા તૂટીને 1805 રૂપિયા પર બંધ થયા હતા. જ્યારે BHELના સ્ટોકમાં 5.71 ટકાનો ઘટાડો આવ્યો છે. ઓબેરોય રિયાલ્ટીના શેર 6.25 ટકા, બીએસઈના શેર 5.84 ટકા, ટાટા કમ્યુનિકેશનના શેર 4.81 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝેઝના શેર 6.16 ટકા, આરબીએલ બેંકન શેર 3.92 ટકા અને એચએફસીએલના શેર 3.87 ટકા ઘટીને બંધ થયા હતા.
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?
• વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે શેરબજારમાં દબાણ છે. ઑક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂપિયા 67,310.80 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે. છેલ્લા 4.5 વર્ષમાં એક મહિનામાં તેમના દ્વારા કરવામાં આવેલ આ સૌથી વધુ વેચાણ છે.
• શેરબજારનું ઊંચું મૂલ્યાંકન, મધ્ય પૂર્વમાં તણાવ અને ચીન તરફથી નવી આર્થિક જાહેરાતો પણ શેરબજારમાં દબાણના કારણો છે.
• ઑક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં જે કંપનીઓએ તેમના પરિણામો જાહેર કર્યા છે તેમાંની મોટાભાગની કંપનીઓના નફામાં ઘટાડો જોવા મળ્યો છે. હવે દરેકની નજર ઈન્ફોસિસના પરિણામો પર ટકેલી છે.
• છૂટક ફુગાવાનો દર વધ્યો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન રિટેલ મોંઘવારી દર વધીને 5.5 ટકા થઈ ગયો છે, જે છેલ્લા 9 મહિનામાં સૌથી વધુ છે. તેનાથી માર્કેટ સેન્ટિમેન્ટ બદલાયું છે.