GUJARAT

Surat: ઓલપાડમાં અન્નદાતા પાયમાલ, આકાશી આફતે ડાંગરનો પાક કર્યો બરબાદ

સુરતના ઓલપાડ તાલુકામાં શેરડી, શાકભાજી અને ડાંગરના પાકની ખેતી ખેડૂતો કરે છે. તેમાંય ડાંગરનો પાક રોકડીયો એટલે વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ ડાંગરનો પાક વાવવામાં આવે છે. કારણ કે પાકની વાવણી કર્યા બાદ રોકડા રૂપિયા ખેડૂતોને મળી જાય એટલે ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી રહે છે.

ભારે વરસાદના કારણે 50 ટકા ડાંગરનો પાક બરબાદ

પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઇ જાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ ઓલપાડ તાલુકામાં ભારે વરસાદના કારણે 50 ટકા ડાંગરનો પાક બરબાદ થઈ ગયો છે. માસમા ગામના ખેડૂતો સામાન્ય રીતે શેરડીનો પાક લેતા હતા, પરંતુ ડુક્કરોના ઉપદ્રવના કારણે શેરડીના પાકમાં ભારે નુકસાન થતું હોવાથી માસમા ગામના ખેડૂતોએ 90 ટકા ડાંગરનો પાક તૈયાર હતો. પરંતુ ઓલપાડ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકમાં વરસાદી પાણી ઘુસી જતા ખેડૂતનો ઉભો પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ રાતાપાણીએ રળવાનો વારો આવ્યો છે.

ઓલપાડ તાલુકાના 108 ગામમાં મોટાભાગે ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ વર્ષે પણ 5 હજાર હેકટરમાં ડાંગરનો પાક ઉભો હતો. મોંઘા બિયારણ અને મજૂરી આપી પાક તૈયાર કર્યો હતો. પરંતુ વાવાઝોડા સાથે સતત બે દિવસ વરસેલા વરસાદે અન્નદાતાની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. કેમકે ભારે વરસાદના કારણે ડાંગરના ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ રાતા પાણીએ રળવાનો વારો આવ્યો હતો.

ખેતરોમાં મોટર મૂકી ભરાયેલા પાણી બહાર કાઢ્યા

આકાશી આફતે ખેડૂતોને લાચાર બનાવી દીધો છે. પરંતુ પાણીમાં ડૂબેલો ડાંગરનો પાક બચી જશે એ આશા એ ખેતરોમાં મોટર મૂકી ખેતરમાં ભરાયેલા પાણી બહાર કાઢી રહ્યા છે. ખેડૂતને પણ ખબર છે કે અવકાશી આફતે ઉભો પાક બરબાદ કરી દીધો છે, છતાં એક આશા લઈ જગતનો તાત ખેતરના શેઢા પર બેસી પાક બચી જશે એવી આશ લઈ બેઠો છે.

ડાંગરનો ઉભો પાક પાયમાલ થઈ જતા ખેડૂતોની હાલત દયનીય બની

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. જોકે ઓલપાડ તાલુકામાં 5 હજાર હેકટરથી વધુ જમીનમાં ડાંગરના પાકની ખેતી કરવામાં આવી છે. પરંતુ તાલુકામાં ભારે વરસાદના કારણે ડાંગરનો ઉભો પાક પાયમાલ થઈ જતા ખેડૂતોની હાલત દયનીય બની છે. ત્યારે ઓલપાડ કોટન સહકારી મંડળીના પ્રમુખ મનહર પટેલે પણ ખેડૂતોની ચિંતા કરી છે. પરંતુ ચાલુ વર્ષે ડાંગરના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.

આમ તો ભારત ખેતી પ્રધાન દેશ છે. પરંતુ ખેડૂતોની હાલત દયનીય છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતોને પ્રોત્સાહન આપતી નીતિ બનાવવી જોઈએ. જેમ ઉદ્યોગો માટે સરકાર પ્રોત્સાહન આપે છે, ત્યારે સરકારોએ ખેતી અને ખેડૂતોને બચાવવા યોગ્ય નીતિ બનાવવી જોઈએ, જેથી આ દેશનો અન્નદાતા દેવાદાર ના બને અને ખેડૂતોની આવક પણ બમણી થશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે. પરંતુ જે રીતે ગુજરાતનો ખેડૂત ચાર પાંચ વર્ષથી કુદરતી આફત સહન કરી રહ્યો છે અને નુકસાની વેઠી રહ્યો છે, ત્યારે સરકારે પાક નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવું જોઈએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button