‘મિલે સુર મેરા તુમ્હારા’ના લેખક Piyush Pandeyનું 70 વર્ષની વયે અવસાન

પીયૂષ પાંડે શુક્રવારે અવસાન પામ્યા છે. ફેવિકોલ, કેડબરી અને એશિયન પેઇન્ટ્સ માટે લોકપ્રિય જાહેરાતો ડિઝાઇન કરનાર પીયૂષ પાંડે 70 વર્ષના હતા. તેમણે 90ના દાયકામાં પ્રખ્યાત ગીત “મિલે સુર મેરા તુમ્હારા” પણ લખ્યું હતું. પીયૂષ પાંડે ઇન્ફેક્શનથી પીડાતા હતા. તેમના અંતિમ સંસ્કાર સવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે કરવામાં આવ્યા.
ભારતીય એડનો અવાજ
પીયૂષ પાંડેએ લગભગ ચાર દાયકા સુધી એડ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. તેઓ ભારતમાં ઓગિલવીના વિશ્વવ્યાપી મુખ્ય સર્જનાત્મક અધિકારી અને એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તેઓ 1982માં ઓગિલવીમાં જોડાયા અને સનલાઇટ ડિટર્જન્ટ માટે તેમની પહેલી જાહેરાત લખી.
છ વર્ષ પછી, તેઓ કંપનીના સર્જનાત્મક વિભાગમાં જોડાયા અને ફેવિકોલ, કેડબરી, એશિયન પેઇન્ટ્સ, લુના મોપેડ, ફોર્ચ્યુન ઓઇલ અને અન્ય ઘણી બ્રાન્ડ્સ માટે નોંધપાત્ર એડ બનાવી. તેમના નેતૃત્વ હેઠળ, ઓગિલવી ઇન્ડિયાને સ્વતંત્ર સર્વેક્ષણમાં 12 વર્ષ સુધી નંબર- 1 એજન્સી તરીકે સ્થાન આપવામાં આવ્યું. તેમણે 2016માં પદ્મશ્રી એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે.
અભિનયની દુનિયામાં સાહસ
પીયૂષ પાંડેએ અભિનય ક્ષેત્રે પણ સાહસ કર્યું, તેઓ 2013માં જોન અબ્રાહમ અભિનીત ફિલ્મ “મદ્રાસ કાફે” અને મેજિક પેન્સિલ પ્રોજેક્ટ વીડિયોમાં દેખાયા. પાંડેએ “મિલે સુર મેરા તુમ્હારા” ગીત લખ્યું હતું. આ ગીત દેશમાં રાષ્ટ્રીય એકતા અને વિવિધતાને પ્રોત્સાહન આપતું એક શાશ્વત ગીત હતું, જે 1990ના દાયકામાં ટેલિવિઝન દ્વારા દરેક ઘર સુધી પહોંચ્યું. પાંડેએ પ્રશંસનીય ફિલ્મ “ભોપાલ એક્સપ્રેસ” માટે સ્ક્રીનપ્લે પણ લખ્યો હતો.
નાણામંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
વ્યવસાય, એડ અને રાજકારણની દુનિયાના લોકોએ પિયુષ પાંડેને શ્રદ્ધાંજલિ આપી છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “પીયુષ પાંડે ભારતીય એડ જગતમાં એક દિગ્ગજ હતા. તેમણે રોજિંદા રૂઢિપ્રયોગો, રમૂજ અને વાસ્તવિકતા સાથે કોમ્યુનિકેશનમાં પરિવર્તન લાવ્યું.” સીતારમણે ઉમેર્યું, “મને વિવિધ પ્રસંગોએ તેમની સાથે વાતચીત કરવાની તક મળી. તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર સર્જનાત્મક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. તેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.”



