- પાકિસ્તાનમાં અત્યાચાર વધતા 28 વર્ષ પહેલાં ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરી કચ્છમાં આવ્યા હતા
- તેઓની વર્ષોની આતુરતાનો અંત તા. 18 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે
- નાગરિકોને કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહ ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરનાર છે
મૂળી તાલુકાના સરલા ગામે વર્ષોથી પાકિસ્તાનમાંથી આવેલા નાગરીકો વસે છે. આ લોકો વર્ષોથી ભારતીય નાગરીકત્વ મેળવવા પ્રયાસો કરી રહ્યા હતા.
ત્યારે તેઓની વર્ષોની આતુરતાનો અંત તા. 18 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. અમદાવાદ ખાતે સરલા ગામના 22 નાગરિકોને કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહ ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરનાર છે.
ભારતના પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનીસ્તાનમાંથી તા.31મી ડિસેમ્બર, 2024 પહેલા આવીને ભારત વસેલા લોકોને ભારતીય નાગરીકતા આપવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં 10 ડિસેમ્બર 2019ના રોજ સીટીઝન એમેડમેન્ટ એકટ પસાર કર્યો હતો. ત્યારે જિલ્લાના મુળી તાલુકામાં વસતા પાકીસ્તાની મુળના લોકોને આ એકટ હેઠળ ભારતીય નાગરીકત્વ મળી રહ્યુ છે. અંદાજે 28 વર્ષ પહેલા પાકિસ્તાનના સીંધ પ્રદેશમાં થતા અત્યાચારને પગલે જેમલભાઈ વેરશીભાઈ અને તેમના પરીવારના લોકો ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરી કચ્છમાં આવીને વસ્યા હતા. પરંતુ જે તે સમયે સરકારને જાણ થતા તેઓને નજર કેદ કરાયા હતા. પરંતુ ત્યારબાદ રાજકીય આગેવાનો તેમની મદદે આવતા તેઓ ખેતમજુર તરીકે જીવન ગુજારતા હતા. વર્ષ 2011માં ભુકંપ બાદ તેઓ કચ્છથી નીકળી સરલા ગામમાં આવી વસ્યા હતા. ત્યારથી તેઓ ભારતીય નાગરીકત્વ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. જેના માટે કલેકટર, મંત્રીઓ સુધી તેઓએ રજૂઆતો કરી છે. આ પરીવારોના કેટલાક બાળકોનો તો ભારતમાં જન્મ થયો છે. તેમ છતાં તેઓને ભારતીય નાગરીકત્વ મળતુ ન હતુ. ત્યારે હવે તેઓની વર્ષોની આતુરતાનો અંત આવી રહ્યો છે. અને આજે 18મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સિટીઝન એમેડમેન્ટ એકટ(સીએએ) મુજબ 22 વ્યક્તિઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે ભારતીય નાગરીકતા પ્રમાણપત્ર એનાયત કરાશે. આ કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
Source link