- નર્મદા યોજનાના ગોકળગતિએ ચાલતા કામ વચ્ચે અપૂરતા વરસાદ
- ભરચોમાસે જળાશયો ખાલીખમ રહેતાં હાલત કફોડી
- સાયલાને પાણી પૂરું પાડતો થોરિયાળી ડેમ છેલ્લાં છ મહિનાથી તળિયા ઝાટક
સાયલા પંથકમાં ભર ચોમાસું હોવા છતાં હાલ લગભગ મોટાભાગના જળાશયો ખાલીખમ રહ્યા છે ત્યારે 21 હજારની વસ્તી ધરાવતા સાયલાને પાણી પૂરું પાડતા મોટા બન્ને જળ સ્તોત્રો તળિયા ઝાટક થઇ જતાં ઘરે ઘરેથી પાણીનો પોકાર ઉઠતો જોવા મળી રહ્યો છે.
ઝાલાવાડમાં 8થી 10 દિવસે પાણી આવતું હોય તેવું એક માત્ર તાલુકા કેન્દ્રનું ગામ સાયલા હવે સર્જાયેલા જળ સંકટ બાદ 15થી 20 દિવસે કે પાણી મેળવતું થવા પામ્યું છે. સરકાર દ્વારા સાયલા ગામ તેમજ તાલુકાને પૂરતું પાણી મળી રહે તે માટે સૌની યોજના થકી ડેમ, તળાવો ભરવાની તેમજ નર્મદા યોજનાની ધોળીધજા ડેમ થી પીવાના પાણીની લાઇન નાખવાનું કામ લાંબા સમયથી તેમજ ધીમી ગતિએ ચાલતા બન્ને પાણી યોજનાના લાભથી હજુ સુધી સાયલાના નાગરિકોને મળી શક્યો નથી.
વર્તમાન સમયમાં ગ્રામ પંચાયત દ્વારા વખતપર જૂથ યોજના થકી તેમજ બોરમાંથી પાણી લેવામાં આવી રહ્યું છે. પરંતુ અપૂરતા જથ્થો મળવાથી ગામમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ જવા પામી છે. અગાઉ 7થી 8 દિવસમાં થતી પાણી વિતરણની વ્યવસ્થા હવે ખોરવાતા 15થી 20 દિવસ સુધી ખેંચાતા લોકો ભર ચોમાસે વેચાતું પાણી ખરીદવા મજબૂર બન્યા છે. પાણીનો દેકારો બોલતા તેનો વેપાર કરવાવાળાઓને તો જાણે તડાકો પડી ગયો છે. પાણીની વિકરાળ બનેલી સમસ્યાને લઇ ગ્રામ પંચાયતના સરપંચ અજયરાજસિંહ ઝાલા તેમજ સદસ્યો દ્વારા પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ મળી લેખીત રજૂઆત કરી ગામને જળસંકટમાંથી ઉગારવા નર્મદા યોજનાની પીવાના પાણીની લાઇનનું કામ પૂર્ણ કરી પાણી આપવા વિનંતી કરાઈ છે. સાથે સાથે ઢોલ વગડાવી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રામજનોને અપાતા પાણીનો સમુચિત ઉપયોગ કરતા વેડફટ ના કરવાની અપીલ કરાઈ છે. વિકાસની સૂફ્યિાણી વાતો વચ્ચે જળ સંકટથી ઝઝુમતા સાયલાના પાણી પ્રશ્ને અવારનવારની રજૂઆતો છતાં તંત્ર કેમ આ બાબતે ગંભીરતા નથી દર્શાવતું એ સવાલ પણ જનમાનસમાં ચર્ચાઇ રહ્યો છે ત્યારે આગામી સમયમાં જો કોઇ નક્કર કાર્યવાહી નહીં થાય તો 21 હજારની વસ્તીને પાણી માટે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે તે હકીકત છે.
પથ્થરની ખાણમાં સંગ્રહ કરેલ પાણીનો જથ્થો પણ ખૂટી જતા જળસંકટ સર્જાયું. બન્ને જળાશયો ખાલી થતા હવે સાયલામાં 15થી 20 દિવસે પાણી આપી શકાશે.નગરજનોને પાણીનો સમુચિત ઉપયોગ કરી વેડફટ બંધ કરવા પંચાયતની અપીલ
Source link