ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં છે પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેને પૂર્ણ બહુમતી મળી નથી. ઘણા મહિનાઓ વીતી ગયા પણ કદાચ નેતાઓને હજુ એ પીડા છે. બહુમતી ન મળવાને કારણે ગઠબંધન સરકાર ચાલી રહી છે, જ્યારે ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતાઓ 400 પારનો દાવો કરી રહ્યા હતા. હવે સરકાર અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજએ રાજકારણના ઘટી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આજકાલ તમે સારા કામ કરીને પણ વોટ મેળવી શકતા નથી.
સારા કામની પ્રશંસા કરનારા બહુ ઓછા લોકો છેઃ કિરેન રિજિજુ
રિજિજુએ વધુમાં કહ્યું કે, પહેલા સંસદમાં ‘સારી ચર્ચા’ થતી હતી, પરંતુ આજે ગૃહમાં ખૂબ હોબાળો થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની માનસિકતા બદલાઈ છે અને સારા કામની પ્રશંસા કરનારા બહુ ઓછા લોકો છે. કિરેન રિજિજુએ વધુમાં કહ્યું કે, ‘મેં છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકારણમાં બદલાવ જોયો છે. આજે તમે સારું કામ કરીને પણ વોટ મેળવી શકતા નથી… જો તમે સારું બોલો છો તો કોઈ સાંભળતું પણ નથી.
અમે રાજકારણ બદલાતા જોયું છે
‘દેશનું ભવિષ્ય ઘડનારા હજુ પણ ઘણા લોકો છે. અમે રાજકારણ બદલાતા જોયું છે. હું 7 વખત ચૂંટણી લડ્યો છું. થોડા સમયમાં લોકો કેટલા બદલાઈ ગયા છે. આજકાલ સારું કામ કરવા જાઓ, તો તમે તેમની પાસેથી મત મેળવી શકતા નથી. સારા કામમાં વિશ્વાસ રાખનારા બહુ ઓછા લોકો રહ્યા છે. તમે કંઈક સારું કહો તો કોઈ સાંભળતું પણ નથી. હું કદાચ એકમાત્ર એવો ઉમેદવાર હતો જે આ વખતે ઉમેદવારી નોંધાવ્યા પછી ગયો ન હતો. મતગણતરીમાં પણ ગયો ન હતો. વિચાર્યું કે હું લોકોનું પરીક્ષણ કરીશ અને જોઈશ.
સામાજિક વ્યવસ્થા ઘણી બગડી ગઈ છે: કિરેન રિજિજુ
રિજિજુ રાષ્ટ્રીય સેવા ભારતી અને સંત ઈશ્વર ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં સમાજ માટે ઉત્કૃષ્ટ સેવા કરનાર સામાજિક કાર્યકરોને પુરસ્કારો આપવામાં આવ્યા હતા. રિજિજુએ કહ્યું કે, ‘રાજકીય દૃષ્ટિકોણથી પણ સામાજિક વ્યવસ્થા ઘણી બગડી ગઈ છે. જ્યારે અમે યુવા સાંસદ હતા ત્યારે સંસદમાં ખૂબ સારી ચર્ચાઓ થતી હતી.