મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસની સપ્લાયમાં મોટો વિક્ષેપ પડ્યો છે. આ સમસ્યાને કારણે શરૂઆતમાં અંદાજે 200 જેટલા કારખાના બંધ થયા હતા, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં વધુ 50 એકમોને તાળા લાગી ગયા છે. આમ, કુલ 250 જેટલા સિરામિક કારખાનાઓ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. ગેસના અનિશ્ચિત પુરવઠાને કારણે ઉદ્યોગકારો માટે ભઠ્ઠીઓ ચાલુ રાખવી અશક્ય બની ગઈ છે.
પેપર મિલ અને પોલીપેક ઉદ્યોગ પણ મુશ્કેલીમાં
માત્ર સિરામિક જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા આનુષંગિક ઉદ્યોગોની હાલત પણ ખરાબ છે. ઈમ્પોર્ટેડ વેસ્ટ પેપરની અછત અને કોલસાના વધતા ભાવને કારણે અનેક પેપર મિલો બંધ થઈ છે. બીજી તરફ, પ્લાસ્ટિકના દાણાના ભાવમાં તોતિંગ વધારો થતા પોલીપેક (પેકેજિંગ) એકમો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉદ્યોગો બંધ થતા શ્રમિકો પાસે હવે મોરબીમાં ટકી રહેવા માટે કોઈ સાધન રહ્યું નથી.
શ્રમિકોની વેદના
બિહારના વતની અને છેલ્લા આઠ વર્ષથી મોરબીમાં કામ કરતા શ્રમિક પોતાની વ્યથા ઠાલવતા કહે છે, “અમે અહીં રોજગારી માટે આવ્યા હતા, પણ હવે ગેસના અભાવે કારખાના બંધ છે. રોજગાર વગર અહીં ઘર ચલાવવું અશક્ય છે, એટલે પરિવાર સાથે વતન જઈ રહ્યા છીએ.” આવી જ સ્થિતિ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રહેવાસીની છે. તેમનું 15 લોકોનું ગ્રુપ જે કોન્ટ્રાક્ટ પર કામ કરતું હતું, તે અત્યારે બેરોજગાર થઈ ગયું છે. આર્થિક મૂંઝવણ અને વધતા ખર્ચને રોકવા માટે તેઓએ વતન પાછા જવાનો નિર્ણય લીધો છે.
રેલવે સ્ટેશન પર ટ્રાફિકમાં ચાર ગણો વધારો
શ્રમિકોની આ સામુહિક હિજરતની સીધી અસર પરિવહન સેવા પર પડી છે. વાંકાનેર રેલવે સ્ટેશનના માસ્ટર ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં સરેરાશ કરતા ચાર ગણો વધારો થયો છે. મુસાફરો ટિકિટ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. ગેસની કટોકટી ક્યારે હલ થશે તે નક્કી ન હોવાથી શ્રમિકોમાં ફાળ પડી છે.


Leave a Comment