દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર અજાણ્યા વાહન સાથે ટકરાતાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હરિયાણા રજીસ્ટ્રેશન નંબરવાળી કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને નોઈડા પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ચેઇનેજ 194 નજીક થયો હતો, જે પાપડા અને નાંગલ રાજાવતન પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે.
ટક્કર એટલી ભયાનક હતી કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં એકમાત્ર જીવતા બચેલા યુવકે પોલીસને જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટ્રક ચાલક કારને ઘણા કિલોમીટર સુધી ખેંચી ગયો હતો, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. હોસ્પિટલમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હોવાનું ડૉક્ટરોએ જાહેર કર્યું હતું. મૃતકોની સત્તાવાર ઓળખ હજી થઈ નથી, પરંતુ તેઓ હરિયાણાના રહેવાસી હોવાનું માનવામાં આવે છે.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે. અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.


Leave a Comment