ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે એક હૃદયદ્રાવક રેલ અકસ્માત સર્જાયો હતો. રોઝામાં આવેલા રેલ્વે પાવર કેબિન નજીક હાઈસ્પીડ માલગાડીએ એક બાઇકને અડફેટે લેતા બે બાળકો સહિત પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનકા ગામના રહેવાસી હરિઓમ સૈની, તેમના સાળા સેથપાલ, ભાભી પૂજા અને બે બાળકો સૂર્યા (2 વર્ષ) અને નિધિ (4 વર્ષ) સાથે બજારમાંથી પરત ફરી રહ્યા હતા. તમામ પાંચ લોકો એક જ બાઇક પર સવાર થઈ રેલ્વે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આવતી માલગાડીએ તેમને ટક્કર મારી દીધી.
અકસ્માતની જાણ થતાં જ GRP અને સિવિલ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. ઘટનાના સમાચાર મળતા વિસ્તારમાં અફરાતફરી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં બેદરકારીને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાઇક રેલ્વે ટ્રેકની બાજુના ફૂટપાથ પરથી પસાર થઈ રહી હતી.
આ મામલે શાહજહાંપુરના એસપી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે, “રોઝા વિસ્તારમાં માલગાડીની ટક્કરથી પાંચ લોકોનાં મોત થયા છે. મામલાની તપાસ ચાલી રહી છે અને જરૂરી કાર્યવાહી માટે રેલ્વે પોલીસ તથા સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી છે.”


Leave a Comment